ભારતના પડોશી દેશ મ્યાનમારમાં સૈનિક શાસન સામે લોકોનો વિરોધ વધી રહ્યો છે. દરરોજ ધરણાં પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે. લોકશાહીને કચડીને મિલિટરી સત્તા પર લોકશાહી સમર્થકો અને સૈનિકો વચ્ચે વોર જેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. મિલિટરી શાસકોએ પ્રદર્શનકારી સામે કડક હાથે પગલા ભરવાની શરૂઆત કરતાં લોકો ભારતમાં શરણ માટે આવી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રાલયે મ્યાનમારને જોડતા 4 સરહદી રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ જાહેર કર્યું છે. હોમ મિનિસ્ટ્રીએ આવા શરણાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આ 4 રાજ્યોની સરકારો થાય સાવધાન
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે એક પત્રમાં પૂર્વોત્તરના ચાર રાજ્યો (મિઝોરમ, મણિપુર, નાગાલેંડ અને અરૂણાચલ પ્રદેશ)ને મ્યાંમાર બોર્ડર પારથી ગેરકાયદે પ્રવેશને લઇને ચેતવણી આપી છે. તો આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમામ પ્રકારની સાવધાની રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.

મિઝોરમમાં ઘૂસી ગયા હતા 16 શરણાર્થીઓ
મિઝોરમ સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે મ્યાનમારથી 16 લોકો રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા હતા જેમાંથી 11 પોલીસકર્મી હતા. મ્યાનમારે પણ પોતાના 8 પોલીસકર્મીઓને તેમને સોંપવા માટે કહ્યું હતું. તો બીજી તરફ મણિપુરના સીએમ એન બીરેન સિંહે પણ તેમના રાજ્યમાં ઘુસણખોરીની આશંકા વ્યક્ત કરી છે. જોકે સુરક્ષાબળોની મોટી સંખ્યામાં તૈનાતી જોતાં હજુ સુધી આવી ઘટના બની નથ પરંતુ સાવધાની રાખવાની જરુર છે.
ઉગ્ર પ્રદર્શનો
મ્યાનમારમાં પ્રદર્શન સતત ઉગ્ર બનતા જાય છે. આ દરમિયાન ગુરૂવારે લશ્કરની કાર્યવાહીમાં 10 પ્રદર્શનકારીઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત યાંગૂન, માંડલે, બાગો અને તુઆંગૂમાં પણ એક-એક પ્રદર્શનકારીના મોત થયા છે. અગાઉ પણ સૈનિક શાસન સામેના પ્રદર્શનમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા.
