Peacock Deaths Karnataka: કર્ણાટકના તુમકુર જિલ્લામાં આ અઠવાડિયે એક હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. દેશના રાષ્ટ્રીય પક્ષી એવા 35 મોર (Peacocks) ના અચાનક મોત નિપજતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હોનારત પાછળ આસમાને પહોંચેલી પ્રચંડ ગરમી (Heatwave) અને લૂ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ વન વિભાગ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહ્યું છે.
Karnataka: વિખરાયેલા મળ્યા મોરના મૃતદેહ
અહેવાલો મુજબ, આ દુર્ઘટના કોઈ એક ચોક્કસ જગ્યાએ નહીં, પરંતુ અંદાજે 500 મીટરથી 1 કિલોમીટરના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલી છે. આટલા મોટા વિસ્તારમાં મોરના મૃતદેહો વિખરાયેલા મળી આવતા વન વિભાગ (Forest Department) પણ હરકતમાં આવ્યું છે. સ્થાનિક લોકોમાં આ દ્રશ્યો જોઈને ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

શું કહે છે પોસ્ટમોર્ટમ રીપોર્ટ?
ઘટનાની ગંભીરતાને જોતા પશુચિકિત્સકોની વિશેષ ટીમે તાત્કાલિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં વન અધિકારીઓના જણાવ્યા મુજબ પક્ષીઓના શરીર અને પીંછા ઉપરથી સામાન્ય દેખાતા હતા. જોકે, તપાસ દરમિયાન પક્ષીઓના ફેફસાંમાં ગંભીર નુકસાનના સંકેતો મળી આવ્યા છે, જેના કારણે મૃત્યુના સાચા કારણો જાણવા માટે પ્રયોગશાળાના વિગતવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આગામી 48 કલાકમાં આવે તેવી શક્યતા છે.
હીટવેવ કે બર્ડ ફ્લૂનું સંકટ?
હાલમાં નિષ્ણાતો માની રહ્યા છે કે તીવ્ર ગરમી અને ડિહાઇડ્રેશન (Dehydration) મોતના મુખ્ય કારણ હોઈ શકે છે. જોકે, પક્ષીઓમાં જોવા મળતા બર્ડ ફ્લૂ (Bird Flu) જેવા ચેપી રોગની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. જો લેબ રિપોર્ટમાં કોઈ વાયરસની પુષ્ટિ થશે તો તે અન્ય વન્યજીવો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વન વિભાગ દ્વારા હાલ આ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા અને દેખરેખ વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો:H1B વિઝા નહીં, આ પ્રોગ્રામ બંધ થવાથી અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
આ પણ વાંચો:અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ સાયબર હુમલા, રિપોર્ટ્સ ભવિષ્યને લઈને ખતરનાક
આ પણ વાંચો:અમેરિકામાં ઠગાઈના કેસમાં 18 વર્ષીય ગુજરાતીને જેલની સજા
