Ahmedabad News/ અમદાવાદમાં રબારી વસાહતમાં માલધારીઓને રાહત દરે જમીન માલિકી હક્ક અપાશે

આ ઉપરાંત હાલનાં પ્લોટ પર કાયમી માલિકી હક્ક મેળવવા માટે તેમણે અમદાવાદ મહાનગરપાલિકાની બાકી ભાડાની, બાકી લેણાંની અને સરકારી અથવા સ્થાનિક વેરાની બાકી રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. આ તમામ નાણાં ભર્યેથી જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી તથા તેના આનુષાંગિક ખર્ચ વગેરે ભરી નિયત સમયમાં દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન (Land) પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક (Ownership) આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક્ક મળશે.

આ નિર્ણય સંદર્ભે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રબારી સમાજ (Rabari Community)ના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે વર્ષ 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી.

આ જમીન પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી. જેમાં જશોદાનગર જૂની વસાહતમાં 137 પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં 440 પ્લોટ, ઓઢવ વસાહતમાં 310 પ્લોટ અને અમરાઈવાડીમાં 212 પ્લોટ મળીને ચારેય વસાહતોમાં આશરે કુલ 1099 પ્લોટની ફાળવણી માલધારી સમાજને કરવામાં આવી હતી. આ ચારેય વસાહતનું અંદાજીત કુલ ક્ષેત્રફળ 657363 ચો.મીટર થાય છે.

મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, હાલ આ ચારેય રબારી વસાહતોમાં પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક્ક આપવા અંગે રજૂઆત કરી હતી. દરેક સમાજની માંગણીઓને હકારાત્મક પ્રતિભાવ આપવાના અનુક્રમને જાળવી રાખતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આજે માલધારી સમાજની વર્ષો જૂની માંગણીને પણ હકારાત્મક વાચા આપતો નિર્ણય કર્યો છે.

આ તમામ વસાહતોનાં જૂના ભાડૂઆતો અથવા હાલનાં કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક્ક મળે તે આશયથી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજારભાવને બદલે રાહતભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફાળવણી કરેલી પ્લોટની જમીન માટે હવે કબજેદાર પરિવારો 6 મહિનામાં પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ ભરીને જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જમીનનો માલિકી હક્ક મેળવવા માટે મૂળ ફાળવણીદારનાં વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રૂ. 1000ની રકમ AMCને ભરવાની રહેશે. જ્યારે, મૂળ ફાળવણીદાર સિવાયના કબજેદાર એટલે કે, વારસદાર સિવાયના કિસ્સામાં જરૂરી પૂરાવા આપી રૂ. 20000 ટ્રાન્સફર ફીની રકમ AMCને ભરવાની રહેશે. જમીન એકથી વધુ વાર તબદીલ થઇ હોય, તેવા કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહિ.

આ ઉપરાંત હાલનાં પ્લોટ પર કાયમી માલિકી હક્ક મેળવવા માટે તેમણે અમદાવાદ મહાનગરપાલિકાની બાકી ભાડાની, બાકી લેણાંની અને સરકારી અથવા સ્થાનિક વેરાની બાકી રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. આ તમામ નાણાં ભર્યેથી જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી તથા તેના આનુષાંગિક ખર્ચ વગેરે ભરી નિયત સમયમાં દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે.

કબજેદારો ફાળવવામાં આવેલી જમીન પર મંજૂરી સિવાયનું વધારાનું બાંધકામ ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગૃડા) અંતર્ગત જરૂરી પૂરાવા સાથે અરજી કરી નિયત નાણાં ભરી નિયમીત કરી શકશે. પૂરેપૂરા નાણાં ભર્યા તારીખથી દસ વર્ષ સુધી આ જમીનનો રહેણાંક સિવાય અન્ય કોઈપણ ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્યને કોઈપણ રીતે વેચાણ કે તબદીલ કરી શકાશે નહી.

દસ વર્ષની મુદ્દત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરવા માંગતા હોય તો પણ તેની પૂર્વ મંજૂરી મેળવી જંત્રીનાં પૂરે-પૂરા નાણાં ભરવાના રહેશે, જેમાં અગાઉ ભરેલ નાણાં મજરે મળી શકશે. જમીનનો માલિકી હક્ક મેળવવા માટે હાલનાં કબજેદારોએ મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબના કોમન પ્લોટ, આંતરિક રોડ, ટીપી હેઠળના રસ્તા, રિઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ફરજીયાતપણે ખુલ્લી કરવાની રહેશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જંત્રી દરમાં વધારાને કારણે ગુજરાતમાં મિલકતના ભાવ 40% વધી શકે…

આ પણ વાંચો:જંત્રી માટે 2 મહિનામાં રાજ્ય સરકારને 11,046 વાંધા સૂચનો મળ્યા, ૫૪૦૦ જેટલા શહેરી અને ૫૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી

આ પણ વાંચો:જંત્રીમાં જંગી વધારાને લઈને સરકાર અને બિલ્ડર આમને-સામને