અમદાવાદ
જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેના શરીરના અંગો પણ એક પછી એક નબળા પડવાની શરૂઆત થાય છે. જેમાં આંખની નબળાઇ પણ વધતી ઉંમરની સાથે આવતી હોય છે. ઉંમર વધે ત્યારે વ્યક્તિને આંખમાં મોતિયો આવવાની શક્યતા હોય છે, પણ ઘણી વખત મોતિયાની તકલીફ થાય તે પહેલા આંખના પડદાની ખામી સર્જાય તેને એજ રિલેટેડ મેક્યુલા ડિજનરેશન (એઆરએડી) કહેવામાં આવે છે.
આંખના પડદામાં પ્રકાશ પડે એ જગ્યાને મેક્યુલા તરીકે ઓળખાવામાં આવે છે. મેક્યુલાના ભાગમાં પ્રકાશનો સતત સંચાર થતો રહેતો હોય છે. તેથી ઘણી વખત વ્યક્તિને મેક્યુલાના ભાગમાં ડાઘ પડવાની શક્યતા રહેલી હોય છે. મેક્યુલામાં ડાઘ પડવાને કારણે બહારથી આવતા પ્રકાશનો પ્રતિબિંબ બનતો નથી. આ પ્રતિબિંબ નહીં બનવાને કારણે વ્યક્તિની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ મેક્યુલામાં રહેલા નાના ડાઘા ભેગા મળી એક મોટો ડાઘ બને છે.
ઘણી વ્યક્તિઓમાં મેક્યુલાની સમસ્યા વારસાગત પણ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર બાદ વ્યક્તિઓમાં મેક્યુલામાં ડાઘ પડવાની શરૂઆત થતી જોવા મળે છે. ડાઘમાં લોહી પહોંચે તે પહેલા ઇલાજ જરૂરી આંખના દરેક ભાગ સુધી બ્લડ સપ્લાય કરવા માટે આંખમાં નસોની રચના થયેલી છે. તેથી મેક્યુલામાં ફક્ત ડાઘ હોય ત્યાં સુધીમાં તેની સારવાર કરાવી લેવી ખૂબ જરૂરી છે.
નસો મારફતે મેક્યુલામાં રહેલા ડાઘમાં લોહી પહોંચી જાય તે પરિસ્થિતિને વેટ એઆરએમડી કહેવાય છે. મેક્યુલાના ડાઘમાં લોહી પ્રવેશી જાય ત્યારે પ્રકાશ બ્રેઇન સુધી પહોંચી શક્તો નથી અને તેના કારણે આંખની દ્વષ્ટિ સાવ ઓછી થઇ જતી હોય છે. મેક્યુલામાં ડાઘ પડ્યા હોય ત્યારે દર્દી સારવાર કરાવી લે તો પડદાના ડાઘને આગળ વધતા આટકાવી શકાય છે.
