વૈશ્વિક મહામારી કોરોનાની હલમાં ભારતમાં બીજી લહેર ચાલી રહી છે. જેમાં તેણે મહારાષ્ટ્રને ઘમરોળીને મૂકી દીધું છે. મહારાષ્ટ્રમાં કોરોના ચેપને પહોંચી વળવા યોજાયેલી બેઠકમાં લોકડાઉન અંગે સમજૂતી હોવાનું જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્રમાં લોકડાઉન ચોક્કસથી લાગુ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ તે કેટલા સમય માટે લગાવવામાં આવશે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.
સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે બધા લોકડાઉનની તરફેણમાં છે. અસલમ શેખે કહ્યું કે, મીટીંગમાં હાજર બધા જ લોકડાઉન લાદવાની તરફેણમાં હતા. આ સમય દરમિયાન કોરોના પ્રોટોકોલ અને નિયમો વિશે વાત કરવામાં આવી નથી. હવે આવતીકાલે ફરી એકવાર બેઠક મળશે જેમાં નિર્ણય લેવામાં આવશે.
અસલમ શેખે કહ્યું કે બેઠકમાં કેટલાક લોકોના મંતવ્ય હતા કે રાજ્યમાં 2 અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવે. તે જ સમયે, કેટલાક લોકોનો અભિપ્રાય હતો કે 3 અઠવાડિયા સુધી લોકડાઉન થવું જોઈએ. પરંતુ હજી સુધી સમજૂતી થઈ નથી અને આવતીકાલે ફરી એક વખત બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે. કેબિનેટની બેઠક પૂર્વે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો ક્યાસ લીધો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે પણ સામેલ થયા હતા. આ ઉપરાંત ટાસ્ક ફોર્સના ચીફ ડો. સંજય ઓક પણ બેઠકમાં હાજર રહ્યા હતા.