પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ પર બલૂચ નેતાએ એક મોટું નિવેદન આપ્યું છે. બલૂચ નેતા મામા કાદિરે એવો દાવો કર્યો છે કે, કુલભૂષણનું ઇરાનમાંથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના ઇશારે અપહરણ કરવામાં આવ્યું છે. અને પાકિસ્તાનમાં લાવી અને જાસૂસીના આરોપમાં પકડવામાં આવ્યો છે.
કાદિરે દાવો કર્યો હતો કે, જ્યારે આ ઘટના થઇ રહી હતી, ત્યારે અમારા સંયોજક ત્યાં હાજર હતા. બલૂચ નેતા કદીરે જણાવ્યું હતું કે, જાધવનું અપહરણ કરવા માટે ISI તરફથી મુલ્લા ઉમરને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. મુલ્લા ઉમર ઇરાની બલૂચિસ્તાનમાં ISIના એજન્ટ તરીકે પ્રખ્યાત છે. તેમજ તે પાકિસ્તાનની વિરૂદ્ધ આવાજ ઉઠાવનારનું અપહરણ કરવાનું કામ કરે છે. કાદિરના મતે જાધવ ઇરાનમાં વેપાર માટે આવતો હતો.