કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને લોકસભાનાં સાંસદ રાહુલ ગાંધી ખેડૂતોનાં મુદ્દે સતત મોદી સરકારની ઘેરાબંધી કરી રહ્યા છે, તેમણે માનવાધિકાર દિવસ નિમિત્તે ટ્વીટ કરીને ફરી એકવાર વડા પ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક સર્વેનાં સમાચાર શેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે 11 રાજ્યનાં લગભગ 45 ટકા લોકોએ લોકડાઉન દરમિયાન પેટ ભરવા માટે લોન લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર ગરીબોનાં મૂળભૂત અધિકાર છીનવી રહી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘મોદી સરકાર ગરીબોનાં મૂળભૂત અધિકાર છીનવી રહી છે. તે માનવતા સામેનો ગુનો છે. દેશનાં સારા ભવિષ્ય માટે આપણે દરેક વર્ગનાં અધિકારોનો આદર કરવો પડશે. જણાવી દઇએ કે, બુધવારે ‘હંગર વોચ’ નાં એક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનમાં દેશનાં 11 રાજ્યોની લગભગ 45 ટકા વસ્તીએ પોતાને ખાવા માટે લોન લીધી હતી. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન દલિતો અને મુસ્લિમોની સૌથી દયનીય સ્થિતિ હતી અને આ બંને વર્ગનાં દરેક ચોથા માણસને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ આ વાતને પોતાના ટ્વીટમાં શેર કરી છે.
આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને રોજગારનાં સંકટનો સામનો કરવો પડ્યો હતો. ‘હંગર વોચ’ સર્વેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનાં સંવેદનશીલ સમુદાયોનાં આશરે ચાર હજાર લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. લોકડાઉન લાગુ થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચેની પરિસ્થિતિ અંગે સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…