મુંબઈ
મુંબઈના અંધેરી વિસ્તારમાં સોમવારે સાંજે ESIC કામદાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી.
અત્યાર સુધી આ આગને લીધે મૃત્યુ આંક વધીને ૮ સુધી પહોચી ગયો છે. ૮ લોકોના મૃત્યુ અને ૧૦૮થી પણ વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
આ ESIC કામદાર હોસ્પિટલમાં આગ ક્યા કારણોસર લાગી છે, તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગ લાગતાની સાથે હોસ્પિટલમાં રહેલા તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ લાગ્યા હોવાનું જાણ થતા ૧૦ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ૧૬ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ હોસ્પીટલની લાપરવાહીના લીધે લાગી છે.
મુંબઈના મેયર વી. મહાદેશ્વરે કહ્યું હતું કે હજુ સુધી આગ લાગવાનું કારણ ખબર નથી પડી. આ આખા મામલાની તપાસ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના અધિકારી એમ વી ઓગલેએ કહ્યું હતું કે હોસ્પિટલને લઈને આશરે ૧૫ દિવસ પહેલા તેમને ફરિયાદ મળી હતી. અહી આગને કાબુમાં લાવવાના જરૂરી ઉપકરણ યોગ્ય કાર્ય નથી કરતા. આ કારણોસર એનઓસી પણ નહતું મળ્યું.
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે અગ્નિકાંડના પીડિતો માટે વળતર જાહેર કર્યું છે. મૃતક લોકોના પરિવારને ૧૦ લાખ, ગંભીર ઘાયલ થયેલા લોકોને ૨ લાખ અને સામાન્ય ઘાયલ થયેલા લોકોને ૧ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.