નવી દિલ્હી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ત્રણ દિવસીય વ્યાખ્યાન કાર્યક્રમ સોમવારથી રાજધાની દિલ્હીમાં શરુ થવા જઈ રહ્યો છે. “ભવિષ્ય ભારત”ના નામથી શરુ થવા જઈ રહેલા આ કાર્યક્રમના કેન્દ્રમાં હિંદુત્વનો મુદ્દો સૌથી આગળ રહેશે.
આ ત્રણ દિવસ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા રાષ્ટ્રીય મહત્વના અલગ અલગ વિષયો પર સંઘ દ્વારા વિચારો પ્રસ્તુત કરવામાં આવનાર છે.
બીજી બાજુ “ભવિષ્ય ભારત”ના નામથી શરુ થઇ રહેલા આ કાર્યક્રમમાં દેશના ગણમાન્ય લોકો હાજરી આપશે એવી આશા જતાવવામાં આવી રહી છે, જેમાં દેશના ધાર્મિક નેતાઓ, ફિલ્મ કલાકારો, રમત-ગમત ક્ષેત્રની હસ્તિઓ, ઉદ્યોગપતિઓ તેમજ દેશની કુલ ૪૦ રાજકીય પાર્ટીઓના રાજનેતાઓ શામેલ છે.
રાહુલ ગાંધી રહેશે ગેરહાજર
જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, CPMના મહાસચિવ સીતારામ યેચુરી તેમજ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આ કાર્યક્રમમાં ગેરહાજર રહેવાના છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમમાં ૭૦૦-૭૫૦ મહેમાન આવી શકે છે, જેમાં ૯૦ ટકા લોકો સંઘ સાથે જોડાયેલા નથી.
કોંગ્રેસ દ્વારા RSS પર સાધવામાં આવ્યું નિશાન
બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને લઈ RSS પર નિશાન સાધવામાં આવ્યું છે. પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ જણાવ્યું છે કે, “આ આમંત્રણ જાણે કોઈ સન્માન માટેનો કોઈ મેડલ હોય તે રીતે RSS અને ભાજપ ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “આ પ્રકારના કોઈ આમંત્રણ કોંગ્રેસ પાર્ટીને મળ્યું નથી અને આ કોઈ સમ્માનનો કોઈ મેડલ નથી.”
અલગ – અલગ મુદ્દાઓ પર લોકોનો વિચાર જાણવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, RSSના કાર્યક્રમનું આયોજનનો મુખ્ય હેતુ દેશના અલગ – અલગ મુદ્દાઓ પર લોકોનો વિચાર જાણવાનો છે.
RSSનું માનવું છે કે, દેશમાં સમાજના મોટા તબક્કામાં લોકોની ઉત્કંઠા વધી રહી છે. જેમાં બુદ્ધિજીવીઓ અને યુવાનો શામેલ છે. તેઓ પોતાના વિભિન્ન મુદ્દાઓ પર પોતાના વિચાર પ્રગટ કરશે.
ભારત આજે દુનિયામાં એક અલગ સ્થાન હાંસલ કરવા વધી રહ્યો છે આગળ
આ કાર્યક્રમને લઇ RSSના પ્રવક્તા અરુણ કુમારે જણાવ્યું હતું કે, “આજે ભારત પોતાનું દુનિયામાં એક અલગ સ્થાન ફરીથી હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે”.
મહત્વનું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫માં કરવામાં આવી હતી અને તે હંમેશા વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપની વિચારધરાનો સ્ત્રોત રહ્યો છે.