બેંગલુરુ,
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા ગુરુવાર સાંજે ૪.૫૬ વાગ્યે કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT- 6Aને લોન્ચ કરીને અંતરિક્ષની દુનિયામાં મોટો ડંકો વગાડ્યો હતો. પરંતુ આ સેટેલાઈટના લોન્ચિંગના માત્ર ૪૮ કલાક બાદ જ ઈસરોના વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, GSAT- 6A સેટેલાઈટ સાથેનો ઈસરો સાથેનો સંપર્ક શનિવારે તૂટી ગયો હતો અને આ અંગેની પૃષ્ટિ ઈસરો દ્વારા જ કરવામાં આવી છે.
ઈસરો દ્વારા પોતાના નિવેદનમાં જણાવાયુ હતું કે, આ મહત્વકાંક્ષી કોમ્યુનિકેશન સેટેલાઈટના લોન્ચિંગ બાદ સફળતાપૂર્વક ઘણા સમય સુધી ફાયરિંગ પછી જયારે સેટેલાઈટ ત્રીજી અને પોતાના અંતિમ ચરણ મુજબ ૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પોતાની સામાન્ય ઓપરેટિગ પ્રક્રિયામાં હતો ત્યારે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે ત્યારબાદ GSAT- 6A સેટેલાઈટ વધુ એકવાર લીંક કરવા માટેની કોશિશ હાથ ધરવામાં આવી રહી છે.
ઈસરોના નિવેદન બાદ પણ સેટેલાઈટનો સંપર્ક તુટવા બાબતે અનેક અનિશ્ચિતો સામે આવી રહી છે. ઈસરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ કોમ્યુનિકેશન સેટેલાઈટ સાથે વધુ એકવાર લીંક કરવા માટેની કોશિશ કરાઈ રહી છે ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સિસ્ટમ ફેલ થવાના કારણે સેટેલાઈટનો સંપર્ક તૂટી ગયો હતો.
ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભ્રમણ કક્ષાને લગતી પ્રક્રિયા શનિવાર સવારે ૧૦ વાગ્યા સુધી યોગ્ય હતી અને એપોજી મોટર (એલએએમ) પણ યોજના પ્રમાણે કામગીરી બજાવતી હતી, પરંતુ થોડા સમય પછી જ ઉપગ્રહના કમ્યુનિકેશનમાં ગરબડ સામે આવી હતી. ત્યારપછી ઈસરોના ટોચના વૈજ્ઞાનિકોએ આ અંગે ચર્ચા પણ કરી હતી.
#FLASH: ISRO launches GSLV-F08 carrying the GSAT6A communication satellite from AP's Sriharikota. pic.twitter.com/sTmkDyS6Bi
— ANI (@ANI) March 29, 2018
મહત્વનું છે કે, ઈસરો દ્વારા ગુરુવાર સાંજે ૪:૫૬ વાગ્યે GSAT- 6A સેટેલાઈટને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ આ સેટેલાઈટને લોંચ કરવા માટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F08 યાનનું પ્રક્ષેપણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેટેલાઈટ 10 વર્ષ કામ કરશે. જેને જીયોસિંક્રોન્સ લોન્ચ વ્હીકલથી મોકલવામાં આવ્યો હતો. આ ઉપગ્રહની ખાસ વાત એ છે કે, તે ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે.
