નવી દિલ્હી,
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા 2018-19ના વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દર ના પોતાના અનુમાનમાં સુધારો કરીને ઘટાડો કર્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનું અનુમાન છે. અગાઉ આ જ એજન્સીએ જીડીપી દર 7.4 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.
એજન્સીએ ક્રૂડ ઓઇલના ભાવ 2018-19માં વધવાના કારણે ફુગાવો વધવાની શક્યતાના આધારે ભારતના આર્થિક વૃદ્ધિ દર નું અનુમાન ઘટાડ્યું છે. આ ઉપરાંત તમામ ખરીફ પાક માટે લઘુતમ સમર્થન મૂલ્ય વધારીને પાકના ખર્ચના દોઢગણા કરવાની અસર પણ આર્થિક વૃદ્ધિ દર પર પડશે.
રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાના મધ્યવર્તી અહેવાલમાં જણાવ્યું છે કે વધતા જતા વ્યાપાર સંરક્ષણવાદ, રૂપિયામાં ઘટાડો જેવાં પરિબળોનાં કારણે હાલ મજબૂત આર્થિક સંકેતો મળી રહ્યા નથી.
એજન્સીએ જણાવ્યું છે કે આ બધાં પરિબળોને ધ્યાનમાં લેતાં તેનું અનુમાન છે કે દેશનો આર્થિક વૃદ્ધિ દર ઘટશે અને 7.2 ટકાની આસપાસ જ રહેશે. એજન્સીએ જણાવ્યું છે કે આખરી ઉપભોગ ખર્ચ વર્તમાન નાણાકીય વર્ષમાં 7.6 ટકા જેટલો વધવાની અપેક્ષા છે, જ્યારે ગત નાણાકીય વર્ષમાં આ ખર્ચ 6.6 ટકા હતો. એ જ રીતે રોકાણ ખર્ચ પણ ચાલુ નાણાકીય વર્ષમાં વધીને આઠ ટકાએ પહોંચવાની અપેક્ષા છે.
ફુગાવા અંગે વાત કરતા એજન્સી એ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય વરસાદ છતાં છૂટક ફુગાવો અગાઉના 4.3 ટકાના પ્રોજેક્શન સામે વધીને 4.6 ટકા સુધી પહોંચી જશે. એ જ રીતે જથ્થાબંધ ભાવાંક અગાઉના 3.4 ટકાના અંદાજ સામે વધીને 4.1 ટકા સુધી જશે.