નવી દિલ્હી,
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટેના આર્ટિકલ ૩૫ Aના પ્રસ્તાવને રદ્દ કરવા અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી વધુ એકવાર ટળી ગઈ છે અને આગામી સુનાવણી માટે ૧૯ જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ૩ જજોની ખંડપીઠે આ સુનાવણી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આશા હતી કે, શુક્રવારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલને બંધારણીય પીઠમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.
Supreme Court has deferred hearing on Article 35A, next hearing on 19 January, 2019: Supreme Court Advocate Varun Kumar pic.twitter.com/OwSKA4JOJP
— ANI (@ANI) August 31, 2018
બીજી બાજુ આર્ટિકલ ૩૫ -Aને લઇ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં અલગાવાદીઓ દ્વારા બંધને જોતા સેનાના જવાનોને એલર્ટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પથ્થરમારો કરનારાઓ સામે પણ મોર્ચો સંભાળવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ ૩૫ -Aને લઇ ઘણી અફવાઓ સામે આવી હતી અને ત્યારબાદ ઘાટીના ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શન પણ થયું હતું. આ જોતા શુક્રવારે પણ સુરક્ષાના કારણોસર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સખ્ત કરવામાં આવી છે.
આ પહેલા ૬ ઓગષ્ટના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજીકર્તાને પૂછ્યું કે, “શું આ મામલો બંધારણીય ખંડપીઠમાં જવો જોઈએ અથવા તો નહિ”.
તેઓએ વધુમાં કહ્યું, “અમારે નક્કી કરવું પડશે કે શું આ મામલો ૫ જજોની બેંચ પાસે મોકલવો જોઈએ કે નહિ. આ મામલે બે અઠવાડિયા પછી નક્કી કરી શકીએ છીએ, ત્યારબાદ ત્રણ જજની કમિટી નક્કી કરશે”.
જો કે ત્યારબાદ, આ મામલે ૨૭ ઓગષ્ટના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ તે થઇ શકી ન હતી.

શું છે આર્ટિકલ 35A ?
આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીરને રાજ્યના રૂપમાં એક વિશેષ અધિકાર આપે છે. આ આર્ટિકલનો મતલબ છે કે, રાજ્ય સરકારનો એ અધિકાર છે કે, આઝાદીના સમયે બીજી જગ્યાઓથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની સુવિધા આપે છે કે નહિ.
મહત્વનું છે કે, આર્ટિકલ ૩૫ A એ ધારા ૩૭૦નો જ એક ભાગ છે. આ ધારાના કારણે બીજા રાજ્યોના કોઈ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો કોઈ સંપત્તિ ખરીદી શકે છે તેમજ ન તેઓ રાજ્યના સ્થાયી નાગરિક બની શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલા આર્ટિકલ ૩૫ Aના પ્રસ્તાવને લઇ ૧૪ મે, ૧૯૫૪ના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ ડો. રાજેદ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવો આર્ટિકલ ૩૫ A જોડવામાં આવ્યો હતો
