પટના,
દેશભરમાં ખેડૂતો દ્વારા ફળો-શાકભાજીના ન્યૂનતમ ભાવ, પાકની સમર્થન કિંમત સહિતના મુદ્દાઓને લઇ આંદોલન કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા આ મુદ્દાઓને લઇ ૧૦ દિવસના આંદોલનનું એલાન કરાયું છે, ત્યારે આંદોલનમાં ૭ રાજ્યોના ખેડૂતો તેમજ રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના ૧૩૦ સંગઠનો દ્વારા મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ ખેડૂતોના આંદોલનને લઇ ભાજપના નેતાઓ અને મોદી સરકારના મંત્રીઓ મજાક ઉડાવી રહ્યા છે. ખેડૂતોના આ મુદ્દાઓને સમર્થન કે તેનું સોલ્યુશન લાવવાના બદલે તેને નાટક ગણવામાં આવી રહ્યું છે.
પટનામાં મોદી સરકારના કૃષિ મંત્રી રાધા મોહન સિંહે આ આંદોલનને “પબ્લિસિટી સ્ટંટ” ગણાવ્યું છે.
મીડિયામાં આવવા માટે આ કામો કરવા કરવામાં આવી રહ્યા છે : કૃષિ મંત્રી
બિહારની રાજધાની પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં પત્રકાર પરિષદને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “મીડિયામાં આવવા માટે અનોખા કામો કરવા પડતા હોય છે. દેશમાં ૧૨-૧૪ કરોડ ખેડૂતો છે. જેથી દેશના દરેક ખેડૂત સંગઠનમાં ૧૦૦૦ થી ૫૦૦૦ ખેડૂતો હોય છે અને જેઓને મીડિયામાં આવવા માટે આ કામો કરવા પડતા હોય છે”.
આંદોલનએ કોઈ મુદ્દો જ નથી : મનોહરલાલ ખટ્ટર
આ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ખેડૂતોના આંદોલનને લઇ જણાવ્યું હતું કે, “આંદોલનએ કોઈ મુદ્દો જ નથી. ખેડૂતોના એવા કોઈ મુદ્દાઓ જ છે જ નહીં અને તેઓ બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને પોતાનું જ નુકશાન કરી રહ્યા છે”.
Punjab: Farmers spill milk on the road during their 10 days 'Kisan Avkash' protest, in Ludhiana's Samrala (Earlier visuals) pic.twitter.com/rh7Fp5uVnl
— ANI (@ANI) June 1, 2018
મહત્વનું છે કે, ખેડૂતો પાકની સમર્થન કિંમત સહિતના મુદ્દાઓને લઇ દેશભરમાં આંદોલન કરી રહ્યા છે. શુક્રવારે દેશભરમાં ખાસ કરીને પંજાબના ફરીદકોટમાં રોડ પર શાકભાજી ફેક્યા હતા, જયારે હોશિયારપુરમાં રસ્તાઓ પર ખેડૂતોએ દૂધના ટેન્કર ખાલી કરી દીધું હતું. આ ઉપરાંત લુધિયાણામાં તેઓએ રસ્તા પર દૂધ ઠાલવ્યું હતું.
Punjab: Farmers in Faridkot thold back supplies like vegetable, fruits and milk from being supplied to cities, demanding farmer loan waiver and implementation of Swaminathan commission (Earlier visuals) pic.twitter.com/P4Zl0Y8lX1
— ANI (@ANI) June 1, 2018
જો કે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે કે, એક બાજુ ભારત ખેતીપ્રધાન છે ત્યારે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. પરંતુ હાલની સરકારોના નીતિ-નિયમોના કારણે ખેડૂતો આજે આત્મહત્યા કરી રહ્યા છે તો આંદોલન કરી રહ્યા છે અને પોતાની માંગોને સંતોષવા માટે સરકારને જગાડી રહ્યા છે.
બીજી બાજુ, લોકસભા કે કોઈ પણ રાજ્યની વિધાનસભાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની લોન માફી કરવામાં આવશે, તેઓના પાકનું મહત્તમ મુલ્ય મળશે. પરંતુ સરકારના ગઠન બાદ ટુંક જ સમયમાં આ વાયદાઓ કોઈ સરકારી ઈમારતમાં ધૂળ ખાતા થઇ જાય છે.
તાજેતરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની કમાણી આગામી ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાનો દાવો કરાઈ રહ્યો છે બીજી બાજુ વર્તમાન સરકારના જ મંત્રીઓ જગતના તાતના આંદોલનને “પબ્લિસિટી સ્ટંટ” ગણાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે, આગામી દિવસોમાં ખેડૂતોના આંદોલન બાદ સરકાર દ્વારા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવી શકે છે.
