અમદાવાદ : રાજ્યમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ લેવાની નવી પદ્ધતિ અપનાવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે અધિકારીઓ EMI પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે. ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓને લઈને ફરિયાદ થતાં ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે લોકોને વધુ આર્થિક બોજ ન ઉઠાવવો પડે માટે ભ્રષ્ટ અધિકારીઓ હપ્તા પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે. આ અધિકારીઓ પીડિતો પાસેથી માસિક હપ્તામાં લાંચની રકમ લે છે. આ વર્ષે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જણાવ્યું કે રાજ્યમાં EMIના રૂપમાં લાંચ લેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
હપ્તા પદ્ધતિથી લાંચના કિસ્સા
માર્ચ મહિનામાં એક કેસમાં GST નકલી બિલિંગ કૌભાંડમાં 21 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકમને 2 લાખ રૂપિયાના દસ હપ્તામાં અને 1 લાખ રૂપિયાના એક હપ્તામાં વહેંચવામાં આવી હતી. મોટી રકમની ચૂકવણી ટાળવા માટે આ કરવામાં આવ્યું હતું. 4 એપ્રિલે સુરતના એક ડેપ્યુટી સરપંચે એક ગ્રામજનોના ખેતર સમતળ કરવા માટે 85,000 રૂપિયાની લાંચ માંગી હતી. ગ્રામજનોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અધિકારીએ ઈએમઆઈનો વિકલ્પ સૂચવ્યો. તેણે 35,000 રૂપિયા આગળ અને બાકીના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાનું કહ્યું.
તાજેતરમાં સાબરકાંઠાના રહેવાસી પાસેથી 4 લાખ રૂપિયા લઈને બે પોલીસ અધિકારીઓ ફરાર થઈ જતાં આ કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા . આ રકમ તેના દ્વારા માંગવામાં આવેલ 10 લાખ રૂપિયાની લાંચનો પ્રથમ હપ્તો હતો. અન્ય એક ઘટનામાં, સાયબર ક્રાઈમનો એક પોલીસ અધિકારી રૂ. 10 લાખની લાંચને ચાર માસિક હપ્તામાં વહેંચવા સંમત થયો હતો.
અધિકારીઓની થશે તપાસ
ડીજીપીએ આ અંગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ઘર, કાર અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદવામાં અસમર્થ હોય અને તેની સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હોય તો તે EMI પર લોન લે છે. ભ્રષ્ટ અધિકારીઓ હવે લાંચના કેસમાં પણ આ જ પદ્ધતિ અપનાવી રહ્યા છે. એસીબીના ડિરેક્ટર અને ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) શમશેર સિંહના જણાવ્યા અનુસાર, આ સમસ્યાનો એક નાનો ભાગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે એજન્સીએ માત્ર એવા કિસ્સાઓ નોંધ્યા છે કે જ્યાં વ્યક્તિઓએ પ્રારંભિક ચુકવણી કર્યા પછી તેમનો સંપર્ક કર્યો હતો. ડીજીપીએ જણાવ્યું કે અધિકારીઓ હપ્તાથી લાંચ લઈ રહ્યા હોવાની માહિતી મળી છે. હવે આ માહિતીના આધારે અમે વધુ તપાસ હાથ ધરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ
આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે
