Vadodara News: વડોદરામાં ગંભીરા બ્રિજ વચ્ચેથી જ તૂટી પડતા નવના મોત થયા છે. આ બ્રિજ ધરાશાયી થવાના પગલે માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખૂલીગઈ છે. તેનું કારણ એ છે કે સરકારે આ જર્જરિત થઈ ગયેલા પુલના બદલે નવો પુલ બનાવવા મંજૂરી આપી હતી. નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ આ પુલ જર્જરિત થઈ ગયો હોવા છતાં તેને બંધ કરવામાં આવ્યો ન હતો.
સ્થાનિક તંત્રએ આવો બિસ્માર થઈ ગયેલો પુલ કેમ ચાલુ રહેવા દીધો તેનો જવાબ આપવો પડશે. ફક્ત આ જ પુલ નહીં રાજ્યમાં દરેક સ્થળોએ બિસ્માર થઈ ગયેલા પુલો આજે પણ ત્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે જીવતા જાગતા કબ્રસ્તાન છે. તંત્ર જો આ પુલોનું રિપેરિંગ કરી શકતું ન હોય તો તેણે બીજું એટલું કરવું જોઈએ કે આ પુલોની નજીક જ સ્મશાનગૃહો બનાવી દેવા જોઈએ, જેથી મૃત્યુ પામેલાઓના ત્યાં જ અગ્નિ સંસ્કાર કરી શકાય.
હવે અહીં સળગતો સવાલ એ છે કે આ પુલ છેક 2017થી જર્જરિત સ્થિતિમાં હતો. તેનું રિપેરિંગ કરાવવા અંગે રજૂઆત થઈ ગઈ હતી, આમ છતાં આ દિશામાં કેમ કોઈ પગલાં લેવાયા ન હતા. પુલ જર્જરિત હોવા છતાં પણ તેને કેમ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ સવાલો હજી પણ ઊભા છે. તંત્રએ જાણે નિયમ લઈ લીધો છે કે દુર્ઘટના થાય પછી જ જાગવું. આ દુર્ઘટનામાં થયેલા 9ના મોતની જવાબદારી કોણ લેશે. કોઈપણ જગ્યાએ દુર્ઘટના થાય પછી બચાવકાર્ય કરવા દોડવું તેના કરતાં પહેલા કેમ જાગવાની જરૂરિયાત લાગતી નથી. શું આ નવના મોત થયા એટલે મૃતકોના કુટુંબીજનોને 36 લાખ રૂપિયાનું વળતર આપી સરકાર પલ્લો ઝાડી લેશે, પણ શું માનવ જીવનનું મૂલ્ય ફક્ત ચાર લાખ રૂપિયા જ છે. આજે તો એક મકાનનું ડાઉનપેમેન્ટ કરવા જવું હોય તો પણ દસ લાખ રૂપિયા રાખવા પડે છે. આ તો માનવ જીવન જાણે એક સામાન્ય મકાન કરતાં પણ વધુ સસ્તુ થઈ ગયું છે.
આમ સ્થાનિકોનો આરોપ છે કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ તંત્રની જાળવણીના અભાવે તૂટી પડ્યો છે. ગુજરાત માર્ગ અને મકાન વિભાગે બનાવેલો આ પુલ તૂટી પડ્યો અને લોકો મોતને ભેટ્યા તે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ તંત્ર પર મોટો પ્રહાર છે. ગંભીરા બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે. તેનું બાંધકામ 1985માં પૂરુ કરવામાં આવ્યુ હતુ.
વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઇને CM ભુપેન્દ્ર પટેલે તમામ માહિતી લીધી હતી. અધિકારીઓને તાબડતોબ બચાવ કામગીરી કરવા આદેશ આપ્યો છે. તો બીજી તરફ હાલ SPથી લઇને સ્થાનિક અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી શરુ કરી કરાઇ છે.સ્થાનિક તવૈયાઓના મદદથી કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો: જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ
આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર
