મનન : ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ
ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે આજે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં મોત થઇ ચુક્યા છે. તેમજ દેશભરના સાત ખંડો સુધી તેની અસર વ્યાપી ચૂકી છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ એક વાઇરસ છે, જે માનવજીવનને ભરખી રહ્યો છે. ભારતમાં આ વાઇરસે ધામા નાખ્યા તેને એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે, બહોળા પ્રમાણમાં રસીકરણ શરૂ થઇ ગયું હોવા છતાં પણ પરિસ્થિતિ ફરીથી પહેલા જેવી જ ભયાનક જોવા મળી રહી છે.મીડિયાથી લઇને સોશિયલ મીડિયા સુધી ચારે બાજુએ કોરોના વિશે જ ચર્ચા થઈ રહી છે. જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિએ આ ઘટનાને કુદરતનો કોપ માનવામાં આવી રહી છે. આડકતરી રીતે પૃથ્વી પર વસ્તી નિયંત્રણ થઇ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વર્ષો અગાઉ સૌરાષ્ટ્રના સંત સદગુરુ રણછોડદાસજી બાપુએ તેમની હયાતીમાં કેટલાક ‘ભાવિ ના સંકેત’ આપ્યા હતા. તે ખરેખર વર્તમાન સાથે બંધ બેસતા હોય તેમ લાગે છે.

” ઈશ્વર છે અને તેઓ પાકા ન્યાયી છે. આ બાબતને બરાબર યાદ રાખજો. એ સમય નજીક આવી રહ્યો છે જ્યારે ઈશ્વરના અસ્તિત્વનો સૌ કોઈએ સ્વીકાર કરવો પડશે.” આ સંવાદ ૬-૫-૫૨ના રોજ સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજે ભાવનગર ખાતે તેમના શિષ્યો સરોજબેન અને બળવંતભાઈ મહેતા તેમજ અન્ય કાર્યકર્તાઓની સાથે કર્યો હતો. કુમુદીની પજવાણી લિખિત પુસ્તક “ગુરુદેવ કી સન્નનિધીમેં ભાગ -૨”( ગુજરાતી) અંતર્ગત પાના નંબર ૩૧૯ થી ૩૨૨માં “ભાવિ કા કુછ સંકેત” હેઠળ ગુરુદેવ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે. જે અત્યારના સમયમાં જાણે તાદ્રશ થતું હોય તેવું લાગે છે. જેના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
* વિજ્ઞાન તેમજ અન્ય દેશો દ્વારા આપણા આધ્યાત્મિક જ્ઞાન તેમજ અનુભવોનો સ્વીકાર થશે. આપણા ઋષિ, મહર્ષિ કે વિવિધ વિષયોના જ્ઞાન, શક્તિ અને અનુભવોની સામે દરેક નતમસ્તક થઇ જશે.( વર્તમાન સમયમાં જે રીતે આપણા સંતોના સત કાર્યોની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઈ છે તેમજ ભારતની ધરોહર યોગનો દેશ-વિદેશમાં સ્વીકાર થયો છે. ત્યારે આ બાબત અત્યારે સો ટકા સાચી લાગે છે.)
* વિશ્વભરમાં આપણા સમાજ તેમજ ધર્મ સંગઠન, આહાર-વિહાર, કુટુંબ પ્રથા, વૈદકીય, આધ્યાત્મિક જ્ઞાન વિજ્ઞાન તેમજ ઘણીબધી બાબતોને લઈને વિચાર-વિમર્શ તેમજ સંશોધન કરવામાં આવશે તેમજ તેઓના સત્ય ને સ્વીકારવામાં આવશે. (આપણી સંસ્કૃતિમાં હંમેશા શાકાહારને મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે હવે ચીન જેવો દેશ પણ આ બાબતમાં માનતો થયો છે તેમજ ચીનના લોકોને શાકાહારી ખાવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે આ બાબત પણ વર્તમાનની દ્રષ્ટિ એ સાચી લાગી રહી છે.)
* કેટલાક કાળ માટે ભ્રષ્ટાચાર અને કાળા બજાર વગેરે ખૂબ વધી જશે, તેમજ કોઈ વિરલો જ તેમાંથી બચી શકશે. સ્વાર્થવાદ તેમજ ભૌતિકવાદની પ્રબળતા થઇ જશે. ત્યારે વિશ્વમાં ભયંકર પરિસ્થિતિ ઉપસ્થિત થઇ જશે. એ નીતાંત ધ્રુવ છે કે બાહ્ય પરિસ્થિતિ એ આંતરિક વિચાર અને ભાવનાઓનું પ્રતિબિંબ જ હોય છે. ( દેશની રાજનીતિમાં થઈ રહેલી ઉથલપાથલ આપણે અત્યારે નજરે નિહાળી રહ્યા છીએ આ માટે આ બાબત પણ અત્યારે સાચી ઠરી છે તેમ કહી શકાય.)
* બીજા દેશોનું શોષણ કરવામાં આવશે અને પોતાના દેશ કે પ્રદેશની ઉન્નતી કે પછી સોના-ચાંદી, સૈનિક તેમજ સશસ્ત્ર બળ વધારવામાં આવશે. આવી હિન વૃત્તિના કારણે ભયંકર શસ્ત્રોના માધ્યમથી ઘણા દેશોમાં વિપ્લવ, હિંસા તથા યુદ્ધ કરવામાં આવશે.(અમેરિકા, ચીન તથા પાકિસ્તાન જેવા દેશોના પાડોશી દેશો સાથેના વર્તણૂક તેમજ લડાઈનું વિશ્વ સાક્ષી રહ્યું છે.)
* ભૌતિક વિજ્ઞાનની પ્રગતિ તેમજ સિદ્ધિઓ સ્વાર્થ-લિપ્સા વધારશે. સુમતિ વિનાની શક્તિ માત્ર રાક્ષસી શક્તિ હોય છે. જે પાગલપન અને હિંસામાં પરિવર્તિત થઈ જાય છે. રાજનીતિમાં કોરી નિર્બળતા બની રહે છે એ જ રીતે સુમતિ અને સુનીતિ વિના કેવળ શક્તિ ભયંકર હિંસા બનીને રહી જાય છે. વિજ્ઞાનની ભૌતિકતા મહાભયંકર પરિણામ ન લાવે તેવી હું પ્રાર્થના કરું છું. માત્ર વિજ્ઞાન ઝેર સમાન બની જાય છે. ( પોતાને વિશ્વની મહાસત્તા માનતા દેશોની ભૌતિકતા પાછળની આંધળી દોટ થકી દેશના નાગરિકોની માનસિકતા બિમારીમાં બદલાઈ રહી છે. જેના પણ આપણે સૌ સાક્ષી છીએ )

* પ્રાકૃતિક સંતુલન એટલું બધું અસ્તવ્યસ્ત કરી દેવામાં આવશે કે પ્રાકૃતિકની ઘટનાઓ નવી નહીં લાગશે. આ અસમતુલા એટલી બધી વધારે હશે કે પ્રતિદિન બનતી સાધારણ ઘટના જેવી લાગશે. કોઈ મહાસત્તા કે મહારાજય પરસ્પરના સંઘર્ષમાં નહીં બરાબર બની જાય તો કોઇ આશ્ચર્ય નહીં રહે. ( આ બાબત પણ હાલ વિશ્વની મહાસત્તા ગણાતા દેશોને લાગુ પડે છે.)
* આ કળિયુગમાં જ કેટલાક વર્ષો સતયુગના આવશે. રામ રાજ્યનું સુખ, આનંદ અને વૈભવ કેવો હતો એ પ્રકારનો જ અનુભવ લોકોને સહજ બનશે. આ એકવીસમી સદીમાં માનવતાહીન માનવને કોઈ સહન નહીં કરી શકશે. સ્વાર્થપૂર્તિ, વાસનાતૃપ્તિ જેવી હીન ચેષ્ટા કોઈ સહન નહીં કરી શકશે. એની પરવા ન કરતા પરહિતની ભાવના તેમજ મદદની પ્રવૃત્તિને વ્યાપક બળ મળશે. (ભગવાન શ્રીકૃષ્ણના ગીતામાં ઉચ્ચારેલા શબ્દો “યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત.. સંભવામિ યુગે યુગે” આ વચન સનાતન ધૃવ છે. એવું ગુરુદેવ પણ સ્વમુખે જણાવે છે. ત્યારે ખરેખર જાણે સતયુગ નજીક આવી રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.)
* મહાત્મા સુરદાસજી મહારાજનું એક કવિત સાધુસમાજમાં ખૂબ જ પરિચિત અને પ્રચલિત છે, તેઓએ નિશ્ચય પૂર્વક જણાવ્યું છે કે વીસમી સદી પછી કલયુગમાં જ સતયુગની એક હજાર વર્ષની અંતર્દશાનો પ્રારંભ થશે.
“અરે મન ધિરજ ક્યો ન ધરે,
એક શસ્ત્ર નૌ સૌસે ઊપર ઐસો યોગ પરે.
સહસ્ત્ર વર્ષ લૌ સતયુગ ફરતે ધર્મ કી બેલ ચઢૈ,
સ્વર્ણફલ પૃથ્વી પર ફૂલે જગકી દિશા ફિરૈ,
સુરદાસ યહ હરિકી લીલા ટારિ નાહી ટરૈ.”
સંહાર અને સર્જન સાથે સાથે હોય છે શુભનું આગમન જ અશુભનો વિનાશ હોય છે. સદબુદ્ધિ આવે તો ફરીથી કુબુદ્ધિનું અસ્તિત્વ ક્યાંથી ? ભગવાન માટે લીલા અનિવાર્ય બની જાય છે. દંડથી જ નીતિ, શિસ્ત, ધર્માચરણ, માનવીય મૂલ્યોના પુનઃસ્થાપિત કરવા પડશે. આવી સમજ ગુરુદેવે વર્ષો પહેલા આપી હતી જે અત્યાર ના સંદર્ભમાં ખરેખર વાસ્તવિક લાગી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
