@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આપણા નેતાઓ ભલે પછી ગમે તે પક્ષના હોય પરંતુ તેઓને કુદરતી આફત વખતે પણ પોતાનું રાજકારણ કરવાની ટેવ હોય છે – બીજી બધી વખતે તો ઠીક પણ કુદરતી આફત વખતે પ્રજા નુકસાન ભોગવતી હોય ત્યારે પણ તેમને એકબીજા પ્રત્યેનો અહમ નડે છે. વ્યક્તિગત કે પક્ષના હિત ખાતર પોતાનું રાજ્યનું અને રાજ્યની પ્રજાનું અને દેશના હિતોને ભૂલીને પોતાનો ખેલ પાડતા થઈ ગયા છે. આ એક કમનસીબી નહિ તો બીજું શું કહેવાય ? જાે કે રાજકારમાં ઘણીવાર એક નહિ પરંતુ બે – બે ચહેરા જાેવા મળે છે એક ચહેરો એવો હોય છે કે જે હંમેશા ક્રોધીત અને પોતાના વિરોધી સામે શબ્દોની આગ ઓકતો ચહેરો હોય છે તો બીજાે ચહેરો એ પણ હોય છે જે ધીરગંભીર રીતે બદલાતી આશા વગર પોતાની વાત કહેતો ચહેરો હોય છે એ અમારી આ નાનકડી આફતનો સામનો અમે અમારી રીતે કરી લેશું તેવું ખુદારી સાથે કહેવાની હિંમત ધરાવતો ચહેરો પણ હોય છે. આપણા દેશમાં રાજકારણીઓ બધા ખરાબ નથી હોતા કે બધા દરેક બાબતને નકારાત્મક દ્રષ્ટિથી નિહાળનારા નથી હોતા તેનો આ જીવંત પૂરાવો કહી શકાય.

આ બે ચહેરા છે ઓરિસ્સાના બીનવિવાદી અને સાચા અર્થમાં વિકાસપુરૂષ કહી શકાય તેવા મુખ્યમંત્રી નવીન પટનાયક જેઓ ભાગ્યે જ પોતાના વિરોધી સામે અહમની દ્રષ્ટિથી જુએ છે જ્યારે બીજાે ચહેરો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાબેનરજી જેઓને ઘણી બાબતોમાં કેન્દ્ર અને ભાજપના નેતા સામેનો અહમ નડે છે અને તેના કારણ તેઓ પોતના વિરોધી નેતાઓના પ્રહારોનું લક્ષાંક બને છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા પર તાજેતરમાં ફુંકાયેલા વાવાઝોડા દરમ્યાન આ બન્ને ચહેરાઓનું વાણી અને વર્ચન વિરોધાભાસી જાેવા મળ્યા હતા.

‘યાસ’ વાવાઝોડાએ બંગાળ અને ઓરિસ્સાના કુલ સાતથી વધુ જિલ્લાઓમાં તારાજીનું તાંડવ ખેલ્યું હતું જાે કે જાનહાનીની દ્રષ્ટિએ મુલવીએ તો આ વિનાશક મનાતા વાવાઝોડાના કારણે સરકારી આંકડા પ્રમાણે બંગાળમાં ૧ અને ઓરિસ્સામાં ૩ મૃત્યુ થયા છે. આ બન્ને રાજ્યમાં ઘરવખરી ખેતર રોડ વિજતંત્ર વિગેરેને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જ્યારે સ્થળાંતર સહિતના સમયસરના પગલાને કારણે જાનહાની બહુ થઈ નથી આ એક સારી નિશાની કહી શકાય તેમ છે.

જાે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ બન્ને રાજ્યોની મુલાકાત લઈ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી જાત માહિતિ મેળવી હતી. પહેલા વડાપ્રધાન ઓરિસ્સા ગયા. ત્યાં મુખ્યમંત્રી નવિન પટનાયકે તેમનું સ્વાગત કર્યું ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી મુખ્ય સચિવ રાજ્યપાલ વિગેરે સાથે સમીક્ષા બેઠક પણ કરી અને ત્યાર બાદ હવાઈ નિરીક્ષણ પણ કર્યું. નવિન પટનાયકે પોતાની રીતે ઓરિસ્સામાં થયેલા નુકસાનનો ચિતાર રજૂ કર્યો એટલું જ નહિં પરંતુ પછી ટ્વીટ પણ કર્યું કે દેશ જ્યારે કોરોનાની મહામારી સામેનો જંગ લડી રહ્યો છે અને કેન્દ્ર સરકાર મોટો બોજ ઉઠાવી રહી છે તેવે સમયે અમારે નવો વધારાનો બોજાે નાખવો નથી. અમે આ આફતનો અમારા સોર્સ કે સંશોધનોના આધારે મુકાબલો કરશું.

નવિન પટનાયકે વડાપ્રધાનનું દિલ તો જીતી જ લીધું છે. અને સાથો સાથ પોતાના વિરોધીઓ તેમના સામે પ્રહાર કરી શકે તેવી કોઈ તક રહેવા દીધી નથી. અને છતાંય વાવાઝોડાનો સામનો કરવાતું ઓરિસ્સા મોડલ પણ ઉભુ કરી દીધું છે. ૨૦૧૯માં જ્યારે આના કરતા પણ વધારે પ્રચંડ વાવાઝોડું ફુંકાયું જેનો સામનો કરી જાનહાની મોટા પ્રમાણમાં થવા દીધી નહોતી. તેમણે ૨૦૧૯માં જે રીતે સ્થળાંતર સહિતના પગલાં ભરેલા તેના કારણે જાનહાની નહિવત હતી. ગુજરાતમાં તાજેતરમાં પુંકાયેલા વાવાઝોડા વખતે વિજયભાઈ રૂપાણીની સરકારે પણ ઓરિસ્સાનું ૨૦૧૯નું મોડલ અપનાવીને વ્યાપક જાનહાની થતી અટકાવી છે. વારંવાર થતા વાવાઝોડાની અસરથી હવે ઓરિસ્સાની સરકાર અને પ્રજા તો ઘણું શીખી ગઈ છે પરંતુ નવિન પટનાયક જેવા અનુભવી મુખ્યમંત્રી મળ્યા છે તેથી ત્યાં સરકાર સામે સાચા પ્રહારો કરવાની તક ભાગ્યે જ મળે છે. એન.ડી.એ.ના ઘટક ન હોવા છતાં તેમને છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર સાથે ક્યારેય સંઘર્ષનું વલણ અપનાવ્યું નથી. ભૂતકાળમાં યુપીએ સરકાર સાથે પણ તેમને સરકારની દ્રષ્ટિએ કોઈ પ્રશ્નો ઉભા થયા નથી તેનું કારણ નવિન પટનાયકનું અસરકારક વલણ છે તેમ કહી શકાય.

જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વડાપ્રધાનની બંગાળની મુલાકાત સમયે સમીક્ષા બેઠકમાં હાજરી ન આપી વડાપ્રધાનને ૩૦ મિનિટ રાહ જાેવડાવી જે પરિસરમાં સમીક્ષા બેઠક ચાલુ હતી તે પરિસરમાં તેઓ હાજર હોવા છતાં તેઓ ગયા નહિ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પણ ન જવા દીધા. કારણ એવું આપ્યું કે સમીક્ષા બેઠકમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની હાજરી યોગ્ય નથી. અત્રે યાદ આપીએ કે સુવેન્દુ અધિકારી એક વર્ષ પહેલાના સમય સુધી મમતા દીદીના નજીકના સાથીદાર હતા. તેઓ ટીએમસી છોડી ગયા. અને નંદીગ્રામની બેઠક પર મમતા દીદીને હરાવ્યા ભલે તોતીંગ બહુમતીથી ટીએમસીને સત્તા મળી હોવા છતાં મમતા દીદી પોતાની વ્યક્તિગત હાર પચાવી શક્યા નથી તે વાત તો નોંધવી જ પડે તેમ છે જાે કે મમતા દીદી વિમાની મથકે વડાપ્રધાનને મળ્યા ૧૫ મિનિટ બેઠક પણ કરી રાજ્યમાં થયેલા નુકશાનની સંપૂર્ણ વિગતો સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પણ વડાપ્રધાનને આપ્યું જાેકે તેમણે પણ પેકેજની માગણી કરી નથી પણ ૧૫૦૦૦ કરોડનું નુકશાન થયું છે તે વાત રજૂ કરી આડકતરી રીતે પેકેજની માગણી કરી જ છે તેવું નિષ્ણાતો કહે છે. આનાથી ભાજપના નેતાઓને પ્રહારો કરવાનો મોકો મળી ગયો છે કે મમતા દીદીએ વડાપ્રધાનની ગરીમા જાળવી નથી. ભાજપના નેતાઓને ભાવતું હતું એ વૈદ્યે કીધું તેમ મમતા બેનરજી પર પ્રહારો કરવાનો મોકો મળી ગયો છે. પ્રહારો શરૂ પણ થઈ ગયા છે વડાપ્રધાન બન્ને રાજ્યોની મુલાકાત બાદ દિલ્હી પહોંચ્યા કે તરત જ પશ્ચિમ બંગાલના મુખ્ય સચિવની બદલી કરી દિલ્હી બોલાવી લીધા છે તેમનો જવાબ પણ માંગ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડ પણ ભૂતકાળની જેમ પોતાના બંધારણીય હોદદાની જવાબદારી સમજવાને બદલે પોતાની આદત મુજબ ભાજપની ભાષા જ બોલ્યા છે. ટુંકમાં બંગાળમાં કેન્દ્ર – રાજ્ય સંઘર્ષનો વધુ એક તબક્કો શરૂ થયો છે તેમ કહી શકાય.

રાજકીય સંઘર્ષ બે પક્ષોના નેતાઓ વચ્ચે લડાતો જ હોય ચે પણ આફત વખતે કઈ રીતે વર્તવું તે ઓરિસ્સાના મુખ્યમંંત્રી નવિન પટનાયક પાસેથી શીખવા જેવું છે બાકી મમતા દીદી અને કેન્દ્રની લડાઈ આફત વખતે પણ ચાલુ રહી છે તેમાં બન્ને જવાબદાર છે. સમીક્ષા બેઠકમાં અધિકારી અને પદાધિકારીને બોલાવાવની પ્રથા છે વિપક્ષી નેતાને ભાગ્યે જ બોલાવાય છે પરંતુ બંગાળમાં કેન્દ્રે વિપક્ષીનેતાને બોલાવ્યા પોતાના પક્ષના છે માટે જ બોલાવ્યા ડાબેરી કે કોંગ્રેસના વિપક્ષી નેતા હોત તો ન જ બોલાવેત તેવી એક અખબારમાં આવેલી ટકોર સર્વથા રીતે યોગ્ય છે.

