ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારને લઇને ઇમરાન ખાનની કેબિનેટે મોટો નિર્ણય કર્યો છે. આર્થિક બાબતો સાથે જોડાયેલી કેબિનેટે ભારત સાથેના ટ્રેડને મંજૂરી આપી છે. હવે પાકિસ્તાન જૂન 2021 સુધી ભારતથી કપાસની આયાત કરી શકશે. પાકિસ્તાની મીડિયાનું માનીએ તો પાકિસ્તાન ખાંડને લઇને પણ જલદી નિર્ણય લઇ શકે છે અને આયાત પર મહોર લગાવી શકે છે.
હકીકતમાં, પાકિસ્તાનની કેબિનેટ ઇકોનોમિક કોર્ડિનેશન કમિટીએ બુધવારે પોતાનો એક રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં ભારતની સાથે કપાસ અને સુગરનો ટ્રેડ શરુ કરવાની અપીલ કરી હતી. કમિટીએ આ રિપોર્ટને મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાન ઓફિસિયલ રીતે ભારત સાથે વેપાર શરુ કરવાની તૈયારીમાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર સંબંધોની નારાજગી જગજાહેર છે. વર્ષ 2019માં ઓગસ્ટમાં જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા પછી પાકિસ્તાનને ચચરી હતી. પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કર્યો હતો. તો બીજી બાજુ ભારતે પણ પુલવામાં હુમલા પછી પાકિસ્તાનથી આવનારી બધી વસ્તુઓ પર 200 ટકા ડ્યુટી લગાવી દીધી હતી. જેના કારણે બન્ને દેશો વચ્ચે વેપાર લગભગ ઠપ્પ થઇ ગયો હતો. પાકિસ્તાન ખાંડ અને કપાસની આયાતના પક્ષમાં એટલા માટે આવ્યો કારણ કે પાકિસ્તાનને આ બન્ને માટે ઘણી મહેનત કરવી પડી. આ અગાઉ મે 2020માં પાકિસ્તાને ભારતથી આયાત થતી દવાઓ અને રૉ મટિરિયલ પર લાગેલા પ્રતિબંધ હટાવી દીધા હતા.
મહત્વનું છે કે છેલ્લા થોડાક દિવસોથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધારો થઇ રહ્યો છે. પહેલા પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા અને ત્યાર બાદ ઇમરાન ખાને પણ ભારત સાથે શાંતિની વાતો કરી હતી.