પાકિસ્તાને મંગળવારે કરતારપુર કોરિડોર ફરીથી ખોલવા અને ગુરુ નાનક દેવની આગામી જન્મજયંતિની ઉજવણી માટે શીખ શ્રદ્ધાળુઓને પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપવા માટે ભારતને વિનંતી કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બર, 2019ના રોજ ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ કરતારપુર કોરિડોર ખુલ્યાના થોડા મહિનાઓ બાદ જ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વની સાથે સાથે દેશને પણ અસર કરી છે. જેના કારણે માર્ચ 2020 થી યાત્રાળુઓની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે અને પડોશી દેશે કોરોનાના કેસમાં વધારાને ટાંકીને આ વર્ષે એપ્રિલમાં ભારતમાંથી તમામ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે હજી સુધી તેની બાજુથી કોરિડોર ખોલ્યો નથી અને શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપી નથી.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે 17 થી 26 નવેમ્બર સુધી ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે ભારત અને વિશ્વભરના તીર્થયાત્રીઓને દર્શન માટે આવકારીએ છીએ.’પાકિસ્તાન આશા રાખે છે કે ભારત કોરિડોર દ્વારા તીર્થયાત્રીઓને સહકારની ભાવનાથી કરતારપુર સાહિબ સુધી જવાની મંજૂરી આપશે.
ચાર કિમી લાંબો કરતારપુર કોરિડોર ભારતીય શીખ તીર્થયાત્રીઓને ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત માટે વિઝા મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ 16મી સદીની શરૂઆતમાં આ ગુરુદ્વારામાં રહેતા અને અવસાન પામ્યા હતા.
