Ahmedabad News: સમાજ સુધારવાની વાતો તો અનેક લોકો જાહેર મંચ પર કે ટોળામાં કહેતા હોય છે પણ ભાગ્યે જ કોઇ વ્યકિત સમાજ સુધારવાની કામગીરી પોતે જ શરૂ કરતા હોય છે પણ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક પીઆઇએ એવું કામ કર્યું છે કે તેમની આવનારી સાત પેઢી સુધી સમાજ વાહ વાહી કરશે
વાત જાણે એમ છે કે ગુજરાત પોલીસમાં પીઆઇ અને દેવીપૂજક સમાજ (Devipoojak Community) માંથી આવતા પીઆઇ સૂરજભાઈ પટણીએ (Surajbhai Patani) સમાજ સુધારવાની શરૂઆત પોતાનાથી જ કરી છે. પીઆઇ પટણીએ સમાજના બાળકો માટે એક અદ્યતન લાયબ્રેરીની (Library) શરૂઆત કરી છે..આ લાયબ્રેરીની ખાસ વાત એ છે કે સમાજના બાળકો આ લાયબ્રેરીમાં પીઆઇ પોતે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવશે.
આમ કહેવાય છે કે શુભ કાર્યની શરૂઆત પોતાના ઘરથી, પછી સમાજથી થાય છે તેમ પીઆઈ પટણીએ સમાજના વિકાસનો પાયો આ લાઇબ્રેરી સ્થાપીને રોપ્યો હોવાનું કહેવામાં આવે છે. માતાપિતાની અથાક મહેનતના પગલે ભણતર કરીને સારા હોદ્દા પર સમજેલા પીઆઈ પટણી તે વાત સારી રીતે સમજી ચૂક્યા છે કે ભણતર વિના વ્યક્તિનું કે સમાજનું ઉત્થાન શક્ય નથી. પણ આ માટેનો પાયો જો હોય તો તે વાંચન છે. સમાજના લોકોને વાંચતા કરવા હોય તો લાઇબ્રેરી સ્થાપવી જરૂરી છે. તેથી તેમણે સમાજના યુવાનોના ઉત્કર્ષ માટે ભંડોળ એકત્રિત કરીને લાઇબ્રેરીની સ્થાપના કરી છે.
ચમનપુરા જેવા વિસ્તારમાં અત્યંત ગરીબ કુટુંબમાં જન્મેલા સૂરજભાઈ પટણીમાં નાનપણથી જ જીવનમાં આગળ વધવાની નેમ હતી અને તેની સાથે-સાથે સામાજિક ઉત્કર્ષની ભાવના પણ હતી. પોતાનો સમાજ આગળ કેવી રીતે લાવવો તે હંમેશા તે વિચારતા રહેતા હતા.
સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અનેક તકલીફોનો સામનો કરીને તે પોલીસદળમાં ભરતી થયા. આજે તે પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન તેમના માટે એક તબક્કો એવો પણ આવ્યો હતો કે જાણે શિક્ષણ છોડી દેવું પડશે, પણ અર્જુનની જેમ તેમ જીવનના અનેક વિઘ્નોના કોઠા પાર પાડીને પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચવાનું લક્ષ્યાંક પાર પાડ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વાંચન કર્યા વગર કોઈપણ સમાજનું ઉત્થાન શક્ય જ નથી. વાંચન વગર ચિંતન અને મનનની પ્રક્રિયા જ આગળ વધતી નથી. સમાજ માટે લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય તો મેં નાની વયે જ લઈ લીધો હતો, પરંતુ હવે તેને અમલમાં મૂક્યો છે. આ લાઇબ્રેરીમાં યુપીએસસી, જીપીએસસી અને અન્ય ઉચ્ચ સ્તરની સરકારી નોકરીઓ માટે તૈયારીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અહીં સ્પીપા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેની કોચિંગ ફેકલ્ટીઝને પણ બોલાવવામાં આવશે. આમ નાના ઘરોમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ભણતરની સાથે બીજા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનું સ્થાન પણ બનશે.
માતાપિતાનું ઋણ તો જીવનમાં ઉતારી શકાય તેમ નથી, પરંતુ તેમને ક્યાંક સન્માન આપી શકાય તે હેતુથી આ લાઇબ્રેરીનું નામ લીલામંગળ દેવીપૂજક સમાજ રીડિંગ લાઇબ્રેરી નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો