Punjab News: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીમાં (Delhi) પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન, પાર્ટીના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને મળવા જઈ રહ્યા છે. આ બેઠક દિલ્હીના કપૂરથલા હાઉસમાં સવારે 11 વાગ્યાથી યોજાશે. પાર્ટીના રાજ્ય એકમમાં વધી રહેલા આંતરિક અસંતોષની ચર્ચા વચ્ચે કેજરીવાલે પંજાબથી પોતાના નેતાઓની આ બેઠક બોલાવી છે. વિપક્ષી પાર્ટીઓ – કોંગ્રેસ અને ભાજપે દાવો કર્યો છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ (Kejriwal) ભગવંત માનને પંજાબના સીએમ પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યા છે.

માહિતી અનુસાર કેજરીવાલે પંજાબના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોની આ બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા કરવા અને તેમની પ્રતિક્રિયા લેવા માટે બોલાવી છે. કારણ કે આ નેતાઓએ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના ઉમેદવારો માટે સક્રિય પ્રચાર કર્યો હતો. પંજાબના સીએમ ભગવંત માન, તેમના કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને AAP રાજ્ય એકમના અધિકારીઓ સહિત 200 થી વધુ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે અઠવાડિયાથી દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા હતા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બેઠકનો એજન્ડા દિલ્હી ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરવાનો છે અને 2027ની શરૂઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાનો છે.

આમ આદમી પાર્ટી ભલે તેને સંગઠનાત્મક બેઠક ગણાવી રહી હોય, પરંતુ પંજાબમાં ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા અને કેજરીવાલ અને માન વચ્ચે વધતા તણાવને કારણે પાર્ટીમાં અશાંતિની અટકળોને વેગ મળ્યો છે. દિલ્હીમાં પંજાબ સરકારના પ્રતિનિધિઓની બેઠકના આયોજન પર વિરોધ પક્ષોએ પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે પંજાબમાં ભગવંત માન નહીં પરંતુ દિલ્હીમાં બેઠેલા અરવિંદ કેજરીવાલનું શાસન છે. અહીં બીજેપી નેતા તરુણ ચુગે દાવો કર્યો છે કે પંજાબમાં મન સરકાર માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હી ભાજપના ધારાસભ્ય મજીન્દર સિંહ સિરસાએ ભગવંત માનને ચેતવણી આપી છે કે કેજરીવાલ તેમને પદ પરથી હટાવવાની યોજના બનાવી રહ્યા છે.
પ્રતાપ બાજવાએ AAPમાં ભાગલાનો દાવો કર્યો હતો
પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું, ‘પંજાબમાં AAPના 30થી વધુ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.’ જ્યારે ગુરદાસપુરના કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ મધ્યસત્ર ચૂંટણીની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું, ‘તે તેના પર નિર્ભર કરે છે કે AAPના કેટલા ધારાસભ્યો પક્ષ ફેરવે છે. AAP ધારાસભ્યો માટે કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ છે કારણ કે રાજ્યમાં ભાજપનું કોઈ ભવિષ્ય નથી.
AAP સાંસદ મલવિંદર સિંહ કાંગે કહ્યું, ‘પ્રતાપ સિંહ બાજવા અશક્ય સપના જોઈ રહ્યા છે – મુંગેરીલાલની જેમ. તેમના પોતાના ભાઈ (ફતેહજંગ બાજવા) ભાજપમાં જોડાયા. AAPના વરિષ્ઠ પ્રવક્તા નીલ ગર્ગે મનજિન્દર સિંહ સિરસા પર ભાજપ નેતૃત્વને ખુશ કરવા ‘અફવાઓ ફેલાવવાનો’ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, ‘ભગવંત માન પંજાબમાં સ્થિર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. સિરસાએ હવે દિલ્હીમાં ભાજપના ચૂંટણી પહેલાના વચનો પૂરા કરવાની ચિંતા કરવી જોઈએ.
પંજાબમાં 5 મહિનાથી કેબિનેટની બેઠક થઈ નથી

કેજરીવાલે બેઠક બોલાવ્યા બાદ, પંજાબ સરકારે સોમવારે રાજ્યના બજેટ સત્રની તારીખો નક્કી કરવા માટે લગભગ પાંચ મહિના પછી યોજાનારી કેબિનેટ બેઠકને મુલતવી રાખી હતી. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું, ‘દિલ્હીએ AAPથી છૂટકારો મેળવ્યો અને હવે પંજાબ પણ તેનાથી છૂટકારો મેળવવા માંગે છે. ભગવંત માનની સરકાર પંજાબમાં દારૂ, રેતી અને ખાણ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિલ્હીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે ભગવંત માન, પંજાબના મંત્રીઓ અને ધારાસભ્યોને બેઠક માટે દિલ્હી બોલાવવાને બદલે પોતે પંજાબ જવું જોઈતું હતું. તેમના આ પગલાથી કોંગ્રેસના દાવાને બળ મળે છે કે પંજાબની સરકાર દિલ્હીથી ચલાવવામાં આવી રહી છે અને લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે AAPનો ‘હાઈ કમાન્ડ’ સર્વશક્તિમાન છે. અરવિંદ કેજરીવાલે પ્રાદેશિક લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર હતી.
કોંગ્રેસના પંજાબ પ્રભારી દેવેન્દ્ર યાદવે એક અખબાર સાથે વાત કરતા કહ્યું, ‘આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દિલ્હીથી નિયંત્રિત થવાને લઈને બેચેન છે. હવે જ્યારે કેજરીવાલ દિલ્હીમાં હારી ગયા છે ત્યારે AAPના પંજાબ યુનિટમાં અશાંતિ વધી રહી છે. ભગવંત માન કે અરવિંદ કેજરીવાલ પંજાબ સરકાર ચલાવી રહ્યા છે તે અંગેની અનિશ્ચિતતા પંજાબ AAPમાં ભાગલા તરફ દોરી શકે છે. કારણ કે આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દરોડા પાડવા માટે પહોંચ્યું EC
આ પણ વાંચો:પંજાબ બંધ,દિલ્હી-ચંદીગઢ હાઈવે બ્લોક, 3 રાજ્યોમાં રૂટ ડાયવર્ટ
