શ્રીનગર: જમ્મુ કશ્મીરની પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા મહેબુબા મુફ્તી દ્વારા સંસદમાં ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. મહેબુબા મુફ્તિએ આ મામલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સરકાર પાસે પૂરતો જનમત ન હોવા છતાં આ બિલ લાવીને ખોટું કરી રહી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ગાંધીના દેશ ભારતને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી.
પીડીપીના નેતા મહેબુબા મુફ્તિએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે. તે અમારા કૌટુંબિક જીવનને પ્રભાવિત કરશે. એટલું જ નહીં, તેનાથી આર્થિક રીતે પણ મહિલાઓ અને પુરુષો પ્રભાવિત થશે.
Indian Muslims and we from jk which is a Muslim majority state , decided to stay with Gandhi's secular democratic India and let us not convert it into Zia-ul-Haq's nation .
— Mehbooba Mufti (@MehboobaMufti) December 31, 2018
પોતાના અંગત જીવનના અનુભવો જણાવતા પીડીપીના નેતા મહેબુબા મુફ્તિએ જણાવ્યું હતું કે, મારા લગ્ન પણ વધુ ન ટક્યા હતાં અને તે મને મહેસૂસ થાય છે કે જો કોઈ મહિલાના લગ્ન તૂટે તો તેણે આર્થિક રીતે વધુ પડકારોનો સામનો કરવો પડે છે.
મહેબુબાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે મુસ્લિમ અનામતની વાત કરીએ છીએ તો ધાર્મિક આધાર પર ભાજપ દ્વારા તેને ફગાવી દેવામાં આવે છે. પરંતુ જ્યારે આ પ્રકારના કાયદા (ટ્રિપલ તલાક બિલ)ની વાત સામે આવે છે તો તેઓ સંસદમાં બિલ રજૂ કરે છે. મહેબુબા મુફ્તિએ જણાવ્યું હતું કે, એક પણ મુસલમાન સાંસદ તેનું સમર્થન કરશે નહીં.
અયોધ્યા મામલે હજુ નિર્ણય આવ્યો નથી
અયોધ્યા મામલે બોલતા મહેબુબા મુફ્તિએ જણાવ્યું હતું કે, અયોધ્યાના રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદ પર હજુ સુધી નિર્ણય આવ્યો નથી. પરંતુ આમ છતાં તેઓ એવું કહી રહ્યા છે કે, મંદિર ત્યાં જ બનશે. ભાજપ સરકાર પાસે પૂરતો જનમત નથી. આ સંજોગોમાં સરકાર ટ્રિપલ તલાક બિલ લાવીને ખોટુ કરી રહી છે.
મહેબુબાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરો અને દ્વિપોના નામ બદલાઈ રહ્યાં છે, પણ આ કોઈ સેવા નથી. આ ન તો દેશ સેવા છે અને ન તો હિંદુઓની સેવા છે. અમે ગાંધીના દેશ ભારતને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી.
