રાંચી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના બળવાખોર નેતા તરીકે પંકાયેલા પટણાસાહિબના સાંસદ અને ફિલ્મસ્ટાર શત્રુઘ્ન સિન્હા શુક્રવારે રાંચી આવ્યા હતાં. બિહારીબાબુ ચારા કૌભાંડના અનેક મામલાઓમાં સજા કાપી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવા માટે અહી આવ્યા હતા.
આ પ્રસંગે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા શોટગન સિન્હાએ તાજેતરમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ભાજપની ભૂલોના પરિણામ સ્વરૂપ ગણાવી હતી. આ સાથે જ સિન્હાએ જણાવ્યું હતું કે, પાર્ટી (BJP)એ જો પોતાની ભૂલ સુધારવી હોય તો પાર્ટીમાંથી સાઈડલાઈન કરાયેલા એવા લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિન્હા અને અરુણ શૌરી જેવા નેતાઓને ગળે લગાડવા જોઈએ. એરપોર્ટ પર પત્રકારોની સાથે વાતચીત કર્યા બાદ તેઓ રાંચીની ‘રિમ્સ’ હોસ્પિટલમાં મળવા ગયા હતા.
આગામી વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પટણાસાહિબથી ચૂંટણી લડવા અંગેના સવાલ પર શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ લોકેશન તો તે જ રહેશે. એરપોર્ટ પર પોતાના ચિરપરિચિત ‘ખામોશ’નો ડાયલોગ બોલીને તેમણે લોકોને ખુશ પણ કર્યાં હતા. તેમણે રાંચી મુલાકાતને પોતાની વ્યક્તિગત મુલાકાત ગણાવી હતી.
લાલુપ્રસાદે મને સુખ દુઃખમાં સાથ આપ્યો છે: શત્રુઘ્ન
આ સાથે જ લાલુ પ્રસાદ સાથેની મુલાકાત પર તેમણે કહ્યું કે તેઓ અમારા કૌટુંબિક મિત્ર છે. સુખ દુ:ખમાં હંમેશા સાથ આપ્યો છે. અત્રે જણાવવાનું કે ચારા કૌભાંડના અનેક કેસોમાં સજા પામી ચૂકેલા લાલુ પ્રસાદ હાલ રિમ્સમાં દાખલ છે.
અડવાણી, સિન્હા અને શૌરીને ભાજપ ગળે લગાવે
BJP સાંસદ અને ફિલ્મસ્ટાર શત્રુઘ્ન સિન્હાએ આ દરમિયાન ભાજપને એવી સલાહ પણ આપી દીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે, ભાજપને જાગી જવા માટે હજુ પણ યોગ્ય સમય છે. પક્ષ માટે સમર્પણની ભાવનાથી પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરીને મળીને તેમને ગળે લગાવો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય દિગ્ગજો હાલમાં ભાજપમાંથી અલગ થલગ પડી ગયા છે.
શત્રુઘ્ન સિન્હાએ પોતાને ભાજપી હોવાના પહેલા પોતાને એક ભારતીય તરીકે ગણાવ્યા હતા.
