શહેરમાં નજીવી બાબતે મારામારીના કિસ્સા જેવી રીતે વધી રહ્યા છે તેના પરથી સાબિત થઇ રહ્યું છે કે અમદાવાદીઓ કેટલા સલામત છે અને અમદાવાદમાં કેટલી હદ સુધીની ગુનાખોરી વધતી જઈ રહી છે.જાહેર શૌચાલયમાં કુદરતી હાજતે જવું હોય તો બે રૂપિયા આપવા પડે છે. વસ્ત્રાપુરમાં આવેલા શૌચાલયમાં કુદરતી હાજતે જવા આવેલા એક શખસ પાસે ત્યાં કામ કરતા વ્યક્તિએ બે રૂપિયા માંગતા આ શખસ અન્ય એક શખ્સને લઈને આવ્યો હતો. બાદમાં બે રુપિયા કેમ માંગ્યા તેમ કહી માંગનાર યુવકને માર માર્યો હતો. બે શખસોએ એવો માર માર્યો કે, તે વ્યક્તિના દાંત પણ ફ્રેક્ચર થઈ ગયા અને હોઠ પણ ફાટી ગયા હતા. આ યુવકને સારવાર અર્થે ખસેડયા બાદ વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુળ બિહારના 35 વર્ષીય મુકેશભાઈ પાસવાન અમદાવાદમાં પત્ની સાથે રહે છે. અને શહેરમાં આવેલા જાહેર શૌચાલય ને સાફ સફાઈ કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી કંપનીમાં વર્ષ 2011થી નોકરી કરે છે. વસ્ત્રાપુર ગણપતિ મંદિર પાસે આવેલા શૌચાલયને સાફ સફાઈ કરવાનું કામ મુકેશભાઈ કરે છે. અહીં કોઈ કુદરતી હાજતે આવે તો તેની પાસે તેઓ બે રૂપિયા લેવાનું પણ કામ કરે છે. ગત તા. 22મી ફેબ્રુઆરીના રોજ તેઓ આ શૌચાલય પર હાજર હતા. ત્યારે એક શખસ ત્યાં કુદરતી હાજતે જવા આવ્યો હતો. જેથી મુકેશભાઈએ બે રૂપિયા તેની પાસે માંગ્યા હતા. જેથી આ શખસ આવેશમાં આવી ગયો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. બાદમાં મુકેશભાઈને કંઈક બોલતા બોલતા તે ત્યાથી નીકળી ગયો હતો.
અડધો કલાક બાદ બે શખશો શૌચાલયમાં આવ્યા હતા. ‘કેમ બે રૂપિયા માંગે છે કહીને ઝગડો કર્યો અને બાદમાં તેની પર તૂટી પડતા ભારે માર માર્યોહતો’. મુકેશભાઈને લાકડીથી માર મારવા લાગ્યા હતા. મોઢાના ભાગે એક ફેંટ પણ આ શખશોએ મારી અને લાકડીથી બરડાના ભાગે મારતા મુકેશભાઈએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. અમારી પાસે પૈસા માંગ્યા છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપતા મુકેશભાઈએ કન્ટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી.
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં મુકેશભાઈને સારવાર અર્થે ખસેડયા જ્યાં તેઓને દાંતના ઉપર અને નીચેના ભાગે ફ્રેક્ચર થયું અને હોઠ ફાટી ગયા હોવાનું ડોક્ટરે જણાવી સારવાર શરૂ કરી હતી.આ અંગે વસ્ત્રાપુર પોલીસને પણ જાણ કરાતા પોલીસે મુકેશભાઈની ફરિયાદ નોંધી તેમની સાથે મારામારી કરી હુમલો કરનાર બે લોકો સામે ગુનો નોંધી બંનેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
