માતૃત્વ : ભાવિની વસાણી
કોરોના વાઇરસે વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે તેને કારણે બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન દ્વારા પાસ કરવાનો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા થયેલી સત્તાવાર જાહેરાત બાદ ઘણા શિક્ષકો, શાળા સંચાલકો અને વાલીઓને માટે રાહતના સમાચાર આવ્યા છે. પરંતુ આ માસ પ્રમોશન માત્ર શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ પડે છે, જીવનના અભ્યાસક્રમ માટે નહીં એ બાબત વાલીઓએ ભૂલવી જોઇએ નહીં. તેમજ વેકેશન મળ્યું છે તેમ માની અને ખુશ થવાના બદલે જાગૃતિ સાથે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ ટૂંકમાં…”જોશ કે સાથ સાથ થોડા હોંશ ભી જરૂરી હૈ”

સરકાર જ્યારે વૈશ્વિક મહામારીથી આપણને સુરક્ષિત રાખવા માટે આટલો મોટો નિર્ણય લઇ રહી હોય ત્યારે, આ નિર્ણયની ગંભીરતાને સમજવાના બદલે બાળકોના તેમજ પરિવારજનોના આ દિવસો માત્ર અને માત્ર મનોરંજન તથા મોજશોખ પાછળ વેડફાઈ ન જાય તે વાલીઓએ જોવાનું રહેશે. તેમજ સરકાર દ્વારા થતાં આદેશનું પાલન કરતાં પણ બાળકોને શીખવવું પડશે.શાળાઓ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી બાળકોને ઘર બેઠા શિક્ષણ આપવાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ આ નિર્ણય જાહેર થયા બાદ કેટલાક વાલીઓ તો જાણે વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે મુક્તિનો અહેસાસ કરી રહ્યા છે.

પરીક્ષાના દિવસો નજીક આવતાની સાથે જ દરેક વાલીઓની ચિંતા વધી જતી હોય છે ત્યારે આ વખતે તો સરકાર દ્વારા એક સપ્તાહ પહેલા પરિણામ પદ્ધતિને લઈને કેટલાય વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ દિવસોને વેડફી નહીં નાખતા વાલીઓએ ખરા અર્થમાં પોતાને બાળકોના ઘડતર કરવા માટે સમય મળ્યો છે, તેમ માનીને આ દિવસોને યાદગાર બનાવી ભૂતકાળમાં વાલી તરીકે થયેલી ભૂલો સુધારવાનો તથા બાળકને એક કદમ વધારે શ્રેષ્ઠ બનાવવાનો મોકો મળ્યો છે તે ભૂલવું જોઈએ નહીં. એટલું જ નહીં બાળકને એક સારો વિદ્યાર્થી બનાવવાની સાથોસાથ ભવિષ્યમાં દેશનો સારો નાગરિક બને તે પ્રકારના સંસ્કાર બીજ બાળકમાં રોપાય તે હાલની પરિસ્થિતિને લઈને ખૂબ જ આવશ્યક છે.

૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ આપણા દેશના વીર જવાનો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. આ તારીખ પર શહીદ દિવસ હતો તે કેટલા વાલીઓને યાદ છે ? અથવા તો મીડિયા અને સોશિયલ મીડિયા માંથી જાણવા મળ્યા બાદ કેટલા વાલીઓએ પોતાના બાળકને તેમના બલિદાન અંગે જણાવવાની કોશિશ કરી છે ? જો ન કરી હોય તો તે પણ કરી શકાય. અમુક ઉંમર પછી બાળકોને કોઇ વસ્તુ થોપી શકાતી નથી, પરંતુ નાનપણથી જ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા દેશભક્ત, નેતાઓ તથા વિરલ વિભૂતિઓ વિશેની ચારિત્ર્ય ઘડતર નિર્માણ કરતી કથાઓ સાંભળેલી હશે તો બાળક મજબૂત અને સક્ષમ બનશે. અત્યારે જે રીતે બાળકોમાં તનાવની ટકાવારી વધી રહી છે તે જોતા બાળકોના મનોબળ નબળા પડ્યા હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેના મૂળમાં બાળકની અંદર મજબૂતીના સંસ્કાર નાખવાનું ક્યાંક વાલીઓ ચૂકી ગયા છે તે સ્પષ્ટ કારણ છે.

બાળકમાં નેતૃત્વના ગુણો ખીલવવા હશે તો સફળ નેતૃત્વની તાલીમ ઘરમાંથી જ આપવી પડશે. બાળકના જીવન અને ચારિત્ર્ય ઘડતર માટે શું કરી શકીએ ? તે માટે આપણે લાંબો વિચાર કરતા નથી અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. વર્તમાન સમયમાં મોટાભાગની મહિલાઓ સમય પસાર કરવાના સો નુસખાઓ વિશે એકબીજાને whatsapp અને facebookમાં શિખામણ આપે છે. પરંતુ આમાંથી માત્ર દસમા ભાગનો સમય પણ પોતાની તથા બાળકોની ખામીઓ દૂર કરવા પાછળ લગાડવામાં આવશે તો મારા ખ્યાલથી પરિણામ શ્રેષ્ઠ જ આવશે. આ સમયે ખરા અર્થમાં કઈ બાબતોમાં આપણે માતા-પિતા તરીકે સુધારો લાવી શકીએ ?
* બાળક સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનું શરૂ કરવું, આ સમયમાં તમારું બાળક જ તમારા કેન્દ્ર સ્થાને હોવું જોઈએ.
* બાળકને શાળામાં હાલ ભલે માત્ર પ્રમોશનના કારણે પાસ કરી દેવામાં આવ્યો હોય પરંતુ તેના અભ્યાસક્રમ અંતર્ગત જે વિષયમાં બાળક કાચું હોય રોજ થોડો સમય આપી અને આ વિષય પાકો કરાવવો જોઈએ જેથી આગળ જતા ઉપલા ધોરણમાં વાંધો ન આવે.
* બાળકને ભલે ભણવાનો તનાવ ન આપો પરંતુ કોરોના વાઇરસ અને તેની વૈશ્વિક સ્તરે થઈ રહેલી અસર વિશે તેની ઉંમર પ્રમાણે થોડી-ઘણી સમજણ આપો.
* કોરોના વાઈરસથી થઈ રહેલા મોતને કારણે વિશ્વ આખું ધીમે ધીમે ભયના ઓથાર હેઠળ આવી રહ્યું છે, ત્યારે વિપરીત પરિસ્થિતિમાં બાળકનું મનોબળ ત્યારે જ મજબૂત રહેશે જ્યારે માતા-પિતાનું મનોબળ મજબૂત રહેશે. માટે સૌપ્રથમ તમે પોતે માનસિક રીતે સ્વસ્થ થઈ જાઓ.
* કોરોના વાઇરસની સ્થિતિ લાંબી ચાલશે તો ભવિષ્યમાં કેવી સ્થિતિ ઉદભવી શકે છે? તે અંગે અત્યારથી દરેક વ્યક્તિએ ચેતવાની જરૂર છે ત્યારે બાળકને પણ સમજાવો કે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
* અત્યાર સુધી પોતે જીવનમાં જે મેળવ્યું નથી તે બાળકોને ઉભા મોઢે અપાવનાર અને પોતાની ક્ષમતા પ્રમાણે બાળકોની ઇચ્છાઓ પૂરી કરનાર વાલીઓને હવે બાળકોને વાસ્તવિકતાનો પરિચય આપવાનો સમય મળ્યો છે. તેમજ દરેક બાબતમાં ‘હા’ કહેવાને બદલે હવે બાળકને ‘ના’ સાંભળતા શીખવવું પડશે.
* અત્યારે જ્યારે એવો સમય આવ્યો છે કે ભારતના જ્ઞાન, રાજનીતિ, વિજ્ઞાન આધ્યાત્મ તેમજ સંસ્કૃતિને વિશ્વ માનવા માટે મજબૂર થયું છે, ત્યારે આપણી સંસ્કૃતિની મહિમા આપણા બાળકોમાં ન હોય તો બાળકોને આ મહત્વ સમજાવવું.
* શાકાહારનું મહત્વ સમજાવવા માટે અત્યારે ચીન શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે બાળકના ગળે ઉતારવું. ચીનમાં આ વાઇરસ સી ફૂડને લઈને ફેલાયો છે, જે જગ જાહેર થયું છે ત્યારે આપણું બાળપણ શાકાહારને અનુસરે તે પ્રકારનાં ગુણોનું સ્થાપન કરવું.
* અત્યાર સુધી બાળકોને મનોરંજન પ્રિય બનાવ્યા છે, ત્યારે વાસ્તવિકતાથી પણ પરિચિત કરાવો જેથી બાળક ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે નાસીપાસ ન થાય.
* વિપરીત પરિસ્થિતિમાં સમાજમાં સેવા કરી રહેલા લોકો માટે માનની દ્રષ્ટિએ બાળક જોતુ થાય તેમજ આવા સંજોગોમાં સૌ સાથે મળીને કઈ રીતે સામનો કરવો જોઈએ તે પ્રકારની સમજણના બીજ બાળકમાં રોપવા જોઈએ.
* ભૂતકાળમાં વિશ્વએ ક્યારે ક્યારે મહામારીનો સામનો કર્યો છે ? કે પછી વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ વખતે પાછળથી કોઈ પણ દેશની સ્થિતિ કેવી થતી હોય છે? તે અંગે અત્યારથી જ બાળકને સમજણ આપવી જોઈએ. આવી યાદી તો બનાવીએ તેટલી ઓછી થશે, ટૂંકમાં દરેક વાલીઓ વિવેક બુદ્ધિ પ્રમાણે બાળકોને સાચી કેળવણી આપે તે જરૂરી છે.

