અમદાવાદ
છેલ્લાં 15 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. સોમવારે નવા ભાવ પ્રમાણે પેટ્રોલમાં ૨૮ અને ડીઝલમાં ૧૮ પૈસાનો વધારો થયો હતો. આ ભાવ વધારો થતાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૯૧ પ્રતિલિટર અને ડીઝલ ૭૩.૭૨ પ્રતિલિટર થયા હતા.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 81.22 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો.
રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પરિણામે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ વધીને રૂા. ૮૯.૨૯ પ્રતિલિટર અને ડીઝલ ૭૮.૨૬ પ્રતિલિટર થયું હતું. સૌથી મોંઘું પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં ૯૧.૦૪ રૂપિયે પ્રતિ લિટર છે.
પેટ્રોલ ડીઝલનો આ ભાવ વધારો ઘટવાના પણ કોઇ સંકેતો નથી મળી રહ્યાં.આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા જતા ક્રુડ ઓઇલના ભાવો પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે કારણભુત માનવામાં આવે છે.
આ ભાવ વધારા સામે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે સરકારના પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાના પ્રયાસના દાવા અંગે જણાવ્યું હતું કે શાસક પક્ષને મફતમાં ક્રૂડ ઓઇલ મેળવવાનો રસ્તો મળી ગયો લાગે છે.
ચિદમ્મબરમે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીની સરકારની ઉગ્ર ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર કાળુ નાણું દાબવામાં પણ નિષ્ફળ ગઇ છે.
Government says will not cut fuel prices. BJP President says 'Centre will soon arrest fuel prices'. BJP must have found a crude oil source that will supply crude oil free!
— P. Chidambaram (@PChidambaram_IN) September 16, 2018
ગઇ કાલે યોગ ગુરૂ બાબા રામદેવે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે કહ્યું હતું કે જો સરકાર ભાવો નહીં ઘટાડે તો તેમને મુશ્કેલી પડશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી કોઇ પરેશાની નહીં હોવાના નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અફસોસ પ્રગટ કર્યો હતો કે તેમનો ઈરાદો જનતાની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. પોતે પણ પેટ્રોલના ભાવ ઘટાડવાની માગણી કરે છે તેમ જણાવી તેમણે જનતાની માફી માગી હતી.
પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે પોતે મંત્રી હોવાથી મફત પેટ્રોલ મળે છે એટલે તેમને કોઇ સમસ્યા નથી પરંતુ સામાન્ય જનતાને મોટી સમસ્યા છે. પોતે જનતાની મજાક કરવા નથી માગતા તેમ જણાવી તેમણે માફી માગી હતી.
