Gujarat News: ગુજરાતમાં ખાનગી લેબોરેટરીઓએ ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ શરૂ કર્યું. કોરોના બાદ ખાનગી લેબોરેટરીઓને નફો રળવાની વધુ એક તક મળી. રાજ્યમાં ચાંદીપુરા કેસમાં વધારો થઈ રહ્યો છે. આનો લાભ લેતા કેટલીક ખાનગી લેબોરેટરીઓએ ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ શરૂ કર્યું. જો કે સરકાર તરફથી કોઈપણ લેબોરેટરીને પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ રાજ્ય આરોગ્ય સચિવે જણાવ્યું કે ખાનગી લેબોરેટરીને ટેસ્ટીંગ માટે સરકારને કોઈ પરવાનો આપવાનો રહેતો નથી. ખાનગી લેબોરેટરીઓએ ફક્ત કલિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તેઓ તેમની ક્ષમતા પ્રમાણે ટેસ્ટીંગ કરી શકે છે.
મહત્વનું છે કે કોરોના સમયમાં વેપારીઓએ ઓક્સિમીટર જેવા મેડિકલ સાધનોનું મોટાપાયે વેચાણ કર્યું હતું. ઉપરાંત ઇમ્યુનિટી વધારવા દવાઓ, સેનિટાઈઝર, માસ્કનું પણ ધૂમ વેચાણ થયું હતું. આ સાથે લોકો કોરોનાના ભયમાં ટેસ્ટીંગ પણ કરાવતા હતા. આ સ્થિતિ હવે ફરી ઉદભવી છે. ખાનગી લેબોરેટરીઓએ ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ શરૂ કર્યું હોવાને લઈને લોકોને મેસેજ મોકલ્યા હતા.
ખાનગી લેબોરેટરીઓએ મોકલ્યા મેસેજ
શહેરની કેટલીક ખાનગી લેબોરેટરીઓએ ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ શરૂ કરતા તબીબોને કેસ રિફર કરવાની વિનંતી કરી હતી. આ લેબોરેટરીઓએ લોકોને મેસેજ મોકલ્યા હતા તેમાં લખ્યું હતું કે તેમના ત્યાં 2500 રૂપિયામાં ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ થશે અને 12 કલાકમાં તેનું પરીણામ મળી જશે. આ મામલે મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે માહિતી આપતાં જણાવ્યું કે અમારી પાસે કોઈ ખાનગી લેબોરેટરી પરવાનગી લેવા આવી નથી. નગરપાલિકા તરફથી ખાનગી લેબોરેટરીઓને ટેસ્ટીંગ ના કરવા જણાવવામાં આવ્યું હતું. જેના બાદ સુપ્રાટેક જેવી કેટલીક ખાનગી લેબોરેટરીએ ટેસ્ટીંગ બંધ કર્યા. પરંતુ આ મામલે આરોગ્ય સચિવના વિરુદ્ધ નિવેદનને પગલે કેટલીક લેબોરેટરીઓ ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ ચાલુ રાખ્યું. આરોગ્ય સચિવનું કહેવું છે કે ખાનગી લેબોરેટરીઓ ફક્ત નોંધણી કરાવી શકે છે ટેસ્ટિંગ માટે સરકારને પરવાનો આપવાનો રહેતો નથી.
નોંધનીય છે કે રાજ્યમાં મહેસાણા, રાજકોટ અને હવે અમદાવાદમાં પણ ચાંદીપુરાના કેસ નોંધાયા. અત્યારસુધીમાં વાયરસથી 41 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રેની કામગીરી હાથ ધરાઈ છે.
