New Delhi News : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં શુક્રવારે આયોડીત કરાયેલા ‘ભાગીદારી ન્યાય સંમેલન’માં ઓબીસી વર્ગના હિતોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું કે તેઓ હવે ઓબીસી વર્ગની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી ગયા છે અને તેમના રક્ષણ માટે નક્કર પગલાં લેશે. રાહુલ ગાંધીએ કહ્યું, હું 2004 થી રાજકારણમાં છું, 21 વર્ષ થઈ ગયા છે. મેં મનરેગા, રાઈટ ટુ ફૂડ, આદિવાસી બિલ જેવા ઘણા કામ યોગ્ય રીતે કર્યા. મને આદિવાસીઓ, દલિતો, મહિલાઓના મુદ્દાઓ પર સારા માર્ક્સ મળવા જોઈતા હતા, પરંતુ હું એક વિષયમાં ઓછો પડી ગયો. હું ઓબીસી વર્ગના હિતોનું રક્ષણ એ રીતે કરી શક્યો નહીં જે રીતે મને કરવું જોઈએ.
OBC મુદ્દાઓને ઊંડાણપૂર્વક ન સમજવાની ભૂલ સ્વીકારી
રાહુલે કહ્યું, હું મંચ પરથી કબૂલ કરું છું કે તે સમયે મને OBC વર્ગની સમસ્યાઓ ઊંડાણપૂર્વક સમજાઈ ન હતી. જો મને તમારી સમસ્યાઓ સમજાઈ હોત તો હું તે સમયે જ જાતિ વસ્તી ગણતરી કરાવી લેત. આ મારી ભૂલ છે, જેને હું હવે સુધારવા જઈ રહ્યો છું.’ડેટાની સદી’માં જાતિનો ડેટા જરૂરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 21મી સદી ડેટા વિશે છે. તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરીના ડેટા દર્શાવે છે કે કોર્પોરેટ અને મેનેજમેન્ટમાં SC, ST, OBC લોકોનો કેટલો ટકા હિસ્સો છે. “આ ડેટા સ્પષ્ટ કરે છે કે SC, ST, OBC વર્ગોને લાખો અને કરોડોના પેકેજ મળી રહ્યા નથી, જ્યારે મનરેગા અને ગિગ વર્કર્સની યાદીમાં મોટાભાગના લોકો આ વર્ગોના છે.”
‘હલવો વહેંચવા’ પર રાહુલનો કટાક્ષ
રાહુલ ગાંધીએ કહ્યું, “દેશમાં દલિત, પછાત, આદિવાસી અને લઘુમતીઓની વસ્તી લગભગ 90% છે, પરંતુ જ્યારે બજેટ તૈયાર થયા પછી હલવો વહેંચવામાં આવે છે, ત્યારે ત્યાં 90% વસ્તીમાંથી કોઈ નથી. તમે હલવો બનાવનારા છો, પરંતુ તે લોકો ખાય છે. અમે એમ નથી કહેતા કે તેમણે હલવો ન ખાવો જોઈએ, પરંતુ તમને પણ ભાગ મળવો જોઈએ.”
જાતિગત વસ્તી ગણતરી પર કોંગ્રેસનો ભાર
રાહુલ ગાંધીએ આ મંચ પરથી સ્પષ્ટ કર્યું કે જાતિગત વસ્તી ગણતરી હવે કોંગ્રેસની પ્રાથમિકતા રહેશે, જેથી ઓબીસી, દલિત અને આદિવાસી વર્ગો તેમના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરી શકે. તેમણે કહ્યું કે પછાત અને વંચિત વર્ગોના અધિકારો સુરક્ષિત કરવા માટે ડેટા આધારિત નીતિ જરૂરી છે.
આગામી લોકસભા સત્ર અને ચૂંટણી પર અસર
રાહુલ ગાંધી દ્વારા આ સ્વ-સ્વીકૃતિ અને સુધારાનો સંકલ્પ આગામી લોકસભા સત્ર અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિનો પણ સંકેત છે. OBC વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, કોંગ્રેસ ભાજપને સીધો પડકાર આપવાની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે.
