@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
મહારાષ્ટ્રના રાજકારણમાં તો ઈલુ ઈલુ ચાલે જ છે. બીજી બાજુ રાજસ્થાન એક એવું રાજ્ય છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં ડખા છે. અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે ચાલતા શીતયુદ્ધનો હજી યુદ્ધવિરામ થયો નથી. તો બીજી બાજુ ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને સાઈડલાઈટ કરવાના પ્રયાસો સામે અવાજ ઉઠ્યો છે. વસુંધરા રાજેના સમર્થકો હવે છડેચોક કાર્યક્રમો યોજી રાજસ્થાન પ્રદેશ ભાજપના પ્રમુખની અવગણના કરે છે. વસુંધરા રાજે રાજ્યના કદાવર નેતા છે અને તેમની અવગણના રાજસ્થાનમાં ભાજપને ભારે પડી શકે છે. કોંગ્રેસશાસિત વધુ એક રાજ્ય છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલને બદલવા માટે માગણી ઉઠી રહી છે. જ્યારે દક્ષિણની વાત કરીએ તો કેરળ કે જ્યાં ડાબેરીઓ સત્તા પર છે અને કોંગ્રેસ વિપક્ષે છે ત્યાં વિપક્ષના નેતાપદની વરણીના મામલે કકળાટ ચાલુ છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ સભ્યોએ કેરળ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતા સામે રજૂઆત કરી છે. કેરળના એલ.ડી.એફ.ના પ્રધાનમંડળની રચનામાં મુખ્યમંત્રી વિજયન નવા ચહેરાઓને સ્થાન આપવા માટે ઘણા સિનિયરોને અન્યાય કરી બેઠા છે. જાે કે ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર વચ્ચે જાેરદાર કામગીરી કરનાર તત્કાલીન આરોગ્ય મંત્રી શૈલજાને પડતા મૂકવામાં આવ્યા તે સામે સીપીએમના એક વર્ગમાં રોષ તો છે જ. એક બે પ્રસંગોમાં આ રોષ બહાર પણ આવ્યો છે.
હવે ભાજપ માટે પ્રથમ પ્રવેશદ્વાર બન્યું હતું તે કર્ણાટકમાં ભાજપે પક્ષપલ્ટાના હથિયાર ઉગામી સત્તા મેળવી અને જનતાદળ (એસ) અને કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણનો બરાબર લાભ ઉઠાવ્યો. સરકાર રચ્યા બાદ પેટાચૂંટણી જીતી સરકાર પણ ટકાવી. યેદિયુરપ્પા ફરી મુખ્યમંત્રી પણ બની ગયા હવે યેદિયુરપ્પાની રીતરસમ સામે ભાજપમાંથી જ અવાજ ઉઠ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા ઘણા ધારાસભ્યોને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ થયો. તેનાથી આ ધારાસભ્યો તો નારાજ છે જ પણ કર્ણાટકમાં ભાજપનો પાયોમજબૂત બનાવનાર નિષ્ઠાવાન કાર્યકરો પણ નારાજ છે. તેમણે પણ અવાજ ઉઠાવ્યો છે. યેદિયુરપ્પા સરકારના એક મંત્રી અને બીજા એક અસંતુષ્ટ ધારાસભ્યે પણ આ બાબતમાં પોતાનો સૂર પૂરાવ્યો છે તેમજ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી છે.
કર્ણાટક ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની માગ કરનાર ધારાસભ્યોના જૂથનું કહેવું છે કે માત્ર લિંગાયત સમાજના છે માટે ‘યેદિ’ને રાખવા યોગ્ય નથી. તેમની કામ કરવાની શૈલીના કારણે જ કર્ણાટકમાં સરકાર વિરોધી અને તેમાંય ખાસ કરીને ભાજપ વિરોધી માહોલ ઉભો થઈ રહ્યો છે. આ અંગે સદાનંદ ગોડા સાથે સંકળાયેલ એક ધારાસભ્ય પી. ગોડાએ કહ્યું કે કર્ણાટકની સ્થાનિક ચૂંટણીના ભાજપને આંચકો આપતા જે પરિણામો આવ્યા તેનું ડેમેજ કન્ટ્રોલ પણ હજી આજની તારીખમાં પણ થઈ શક્યું નથી તે હકિકત છે. કદાચ આ અંગે કર્ણાટક ભાજપના ૨૦થી વધુ ધારાસભ્યોનું જૂથ દિલ્હીમાં ધામા નાખી ભાજપના મોવડીમંડળ સમક્ષ નેતૃત્વ પરિવર્તનની માંગ કરે તેવી શક્યતા છે.
કર્ણાટક ભાજપમાં ડખો ચાલે છે તો જનતાદળ એસ કે કોંગ્રેસ પણ ડખામૂકત નથી. ત્યાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના ટેકેદારો આજની તારીખમાં પણ કોંગ્રેસ સાથે જાેડાણ ચાલુ રાખવાના મતના છે તો તેમના પુત્ર અને કોંગ્રેસની ભાગીદારીથી દોઢ વર્ષ કરતાં વધુ સમય સુધી સત્તાના સૂત્રો સંભાળનાર પૂર્વ મુખ્યમંત્રી પી.કુમારસ્વામી અને તેમના ટેકેદારો કેન્દ્રના સત્તાધારી પક્ષ ભાજપ સાથે ફરી જાેડાણ કરવાના મતના છે. જ્યારે વિપક્ષમાં ધકેલાઈ ગયેલ કોંગ્રેસમાં આમ તો કર્ણાટક કોંગ્રેસના સંકટમોચક ગણાતા અને કોંગ્રેસના મોવડીમંડળના અત્યંત માનીતા એવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શીવકુમાર અને તેના સાથીઓ અને પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારામૈયા વચ્ચે ખેંચતાણ ફરી શરૂ થઈ છે. ભાજપમાં ગયા પૂર્વકોંગ્રેસી ધારાસભ્યો ઘરવાપસીની તૈયારી કરી રહ્યા છે. આમાના કેટલાકે તો કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક પણ સાધ્યો છે. પી.શીવકુમાર તો આ નેતાઓને આવકારવા તૈયાર જ છે. તેમની ઘરવાપસી કર્ણાટકમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવશે તે નિશ્ચિત છે તેવું આ જૂથ માને છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આના વિરોધી છે. કર્ણાટકમાં જ્યારે યેદિયુરપ્પા અને ભાજપ વિરોધી માહોલ ઉભો થઈ રહ્યો છે ત્યારે પક્ષ સાથે વિશ્વાસઘાત કરનારાઓને જનતા સાથે પણ દ્રોહ કરનારા પક્ષપલ્ટુઓને પાછા લાવવાની કોઈપણ હિલચાલ કર્ણાટકમાં પક્ષને વધુમાં વધુ નુકસાન કરનારી પૂરવાર થશે તેવું ઘણા આગેવાનો માની રહ્યા છે. સિધ્ધારામૈયા અને તેમના ટેકેદારો કહે છે કે આ પક્ષપલ્ટુ ધારાસભ્યોની ઘરવાપસી એ બિકાઉ માલને ફરી ખરીદવા જેવી પૂરવાર થશે. એકવાર કેન્દ્રના સત્તાધારી પક્ષમાંથી લાભ ખાટવા દોડી ગયેલા આ ધારાસભ્યો ધાર્યો લાભ ન મળતા અને ઉપેક્ષા થતાં કોંગ્રેસમાં પાછા આવવા માગે છે પરંતુ તેમની ધરવાપસી બાદ ફરી ભાજપનું મોવડીમંડળ આ પક્ષપલ્ટુઓને ફરી ‘લાભ’ કે હોદ્દાનો કટકો ફેંકે તો ફરી ભાજપમાં પાછા નહિ જ જાય તેવી કોઈ ખાતરી આપવાના મૂડમાં છે ખરા ? આ સો મણનો સવાલ છે. તેનો કોઈ જવાબ હાલના તબક્કે છે જ નહિ.
આ બધા સંજાેગો એવા છે કે કર્ણાટકમાં ભાજપ કોંગ્રેસ અને જનતાદળ (એસ) એ ત્રણેય પક્ષોમાં સબ સલામતની સ્થિતિ નથી અને વિખવાદનો ચરરૂ ઉકળી રહ્યો છે. આ પણ એક વાસ્તવિકતા છે.
પ. બંગાળમાં મમતા બેનરજીના માર્ગમાં કાંટા પાથરવાનો ધંધો રાજ્યપાલ અને કેન્દ્રના શાસક પક્ષ દ્વારા ચાલું છે. મુકલ રોયના ટીએમસીમાં પુનરાગમન બાદ હવે અન્ય તેનાઓ ભાજપ છોડી ટીએમસીમાં પરત આવી રહ્યા છે. આ સંજાેગો વચ્ચે ત્યાં વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યા છતાં મીંડુ મૂકાવનાર કોંગ્રેસમાં પણ ભંગાણનો દોર શરૂ થઈ ગયો છે. ભારતરત્ન એવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભીજીત મુખરજીએ પોતાના પિતાના પક્ષ કોંગ્રેસને લટકતી સલામ કરી ટી.એમ.સી.માં જાેડાયા છે. અભીજીત મુખરજી ૨૦૧૨ની પેટાચૂંટણી અને ૨૦૧૪ની ચૂંટણીમાં પોતાના પિતાની બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ હતાં. તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા જ એવો અભિપ્રાય આપ્યો હતો કે કોંગ્રેસે ડાબેરીઓ સાતે નહિ પરંતુ ટીએમસી સાથે ચૂંટણી સમજૂતી કરવી જાેઈએ. ટૂંકમાં તેઓને આ મુદ્દા પર કોંગ્રેસની નેતાગીરી સામે વાંધો જ હતો. અભિજીતની એક્ઝીટથી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ભાંગ્યુ તુટ્યું માળખું વધુ જર્જરીત થયું છે.