ભારતીય ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની ઈજાની સમસ્યા વધુ ઘેરી બની રહી છે અને ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી સમસ્યા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ફિટનેસ બની ગઈ છે. રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે અને જે માહિતી સામે આવી રહી છે તે મુજબ તે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં પણ નહીં રમે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ટાંકીને કહ્યું છે કે જાડેજાને સર્જરી કરાવવી પડશે, જેના કારણે તે લાંબા સમય સુધી મેદાનની બહાર રહેશે. રવિન્દ્ર જાડેજા હાલમાં જ ટીમ ઈન્ડિયા સાથે UAEમાં હતો, જ્યાં તે એશિયા કપ 2022માં રમી રહ્યો હતો. જાડેજાએ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને હોંગકોંગ સામે પ્રથમ બે મેચ રમી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં જાડેજાએ 35 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી, જ્યારે બીજી મેચમાં તેણે કરકસર બોલિંગ કરતા મોટી વિકેટ પણ મેળવી હતી. આવી સ્થિતિમાં સ્ટાર ઓલરાઉન્ડરની ગેરહાજરી રોહિત શર્માની ટીમ માટે મોટો ઝટકો હશે.
જાડેજાને મોટી સર્જરીની જરૂર છે એક અધિકારીએ કહ્યું હતું કે જાડેજાની ઈજા ખૂબ જ ગંભીર છે અને હાલ તેના વાપસી માટે કોઈ સમય નક્કી કરી શકાય તેમ નથી. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જાડેજાના જમણા પગમાં ઘૂંટણની ઈજા ખૂબ ગંભીર છે. તેને મોટી સર્જરી કરાવવી પડશે અને તે અનિશ્ચિત સમય માટે ક્રિકેટમાંથી બહાર થઈ જશે. આ સમયે, જો આપણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ની મેડિકલ ટીમના મૂલ્યાંકન પર નજર કરીએ, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વાપસી માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.
