નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત બાદ ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 2000ની નોટ માર્કેટમાં ઉતારી હતી. પરંતુ હવે આરબીઆઇએ 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ કરી દીધું છે. એક અહેવાલ મુજબ આરબીઆઇએ 5 મહીના પહેલા જ 2000ની કરન્સીનું પ્રિન્ટીંગ બંધ કરી દીધું છે. આ નોટના લોન્ચિંગ બાદ તેને માત્ર 4 મહિના સુધી જ છાપવામાં આવી હતી. લોકો પર નોટબંધીથી રાહત મળે તે માટે જ સરકાર તરફથી 2000ની નોટ લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ માર્કેટમાં આ નોટનું ઝડપથી સર્ક્યુલેશન થતાં આરબીઆઇએ આ કરન્સીનું પ્રિન્ટીંગ બંધ કરી દીધુ હોવાનું સૂત્રોને જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રિઝર્વ બેંક 2000 રૂપિયાની કરન્સીને બંધ કરવા અંગે વિચારી રહી નથી. રિઝર્વ બેંક સામે માર્કેટમાં કરન્સીના આદાન-પ્રદાનનો સૌથી મોટો પડકાર છે. તેથી 200 રૂપિયાની નવી કરન્સી દ્વારા રિઝર્વ બેંક આમ આદમી માટે કેશ ટ્રાન્ઝેક્શન સરળ કરવા માંગે છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ આરબીઆઇ હવે માર્કેટમાં નાની કરન્સીની સપ્લાય કરવા વિચારી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રિઝર્વ બેંક ઓગસ્ટમાં 200 રૂપિયાની નવી નોટ ચલણમાં લાવી શકે છે. મૈસૂર પ્રિન્ટીંગ પ્રેસમાં ઝડપથી 200ની નોટનું છાપકામ ચાલી રહ્યું છે. માર્ચમાં નાણાપ્રધાન સાથેની વાતચીત બાદ આરબીઆઇએ 200 રૂપિયાની નવી નોટ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી હતી.