પ્રધાનમંડળ :પોતાના જન્મદિવસના અગાઉના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે આશ્ચર્યજનક ‘રીર્ટન ગીફ્ટ’ આપી તે માત્ર ગુજરાત નહિ પણ દેશના રાજકીય ઈતિહાસમાં એક ‘સરપ્રાઈઝ પેકેજ’ તરીકે ગણાશે. આ છે તેમની ‘નો રિપિટ’ થીયરી અને બીજાએ ક્યારેય ન વિચાર્યું હોય તેવું પગલું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પટેલની વરણી પણ એક સરપ્રાઈઝ પેકેજ જ હતું. જ્યારે શનિવાર તા. ૧૧મી બપોર બાદ જે ઘટનાક્રમ શરૂ થયો અને ૧૬મીએ બપોરે પૂર્ણ થયો તે પણ આશ્ચર્યના ટોપલા જેવો જ હતો. ૧૧મીએ સરદારધામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સીધા રાજભવન જઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીધું રાજીનામું સોંપી દીધું. પછી નવી અટકળો શરૂ થઈ. ગુજરાતનો નાથ કોણ બનશે ? આખરે રવિવારે એટલે કે ૧૨મીએ બપોરે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું અને ગુજરાતના મુખ્યમંત્રીપદે ઘાટલોડીયાનાધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું. આ પણ ઘણા સિનિયરો અને મુખ્યમંત્રી બનવા થનગની રહેલા નેતાઓ માટે આંચકા અને આઘાત આપનારો ભાજપના મોવડી મંડળ અને તેમાંય ખાસ કરીને મોદી શાહ અને નડ્ડાની ત્રિપુટીનો નિર્ણય હતો.
ત્યારબાદ પ્રધાનમંડળમાં કોણ તે અંગે અટકળો શરૂ થઈ. કોણ રહેશે અને કોણ કપાશે તેવા નામો વહેતા થયા. શપથવિધી પહેલા ૧૬મી જાહેર થઈ પછી ૧૫મીનું નક્કી થયું ને પછી એકાએક તેમાં ફેરફાર કરી ૧૬મી બપોરનો સમય નક્કી થયા બાદ તેમાં ફેરફાર થવાનો આ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ બનાવ હતો. હવે પ્રધાનમંડળમાં કોણ ઉમેરાશે, કોની બાદબાકી થશે તેવી અટકળો શરૂ થઈ પરંતુ આખરે બધા સંભવિતોને ફોન કરીને પસંદગીની જાણ કરાઈ અને જે લિસ્ટ જાહેર થયું તેમાં આખું પ્રધાનમંડળ બદલાઈ ગયું હતું. બધા નવા નામો આવ્યા. મારું તો મંત્રીપદ ભાજપની સરકાર છે ત્યારે જવાનું જ નથી તેવો મુછે વળ દઈ ફરનારા આગેવાનોને ઘરનો રસ્તો બતાવી દેવાયો. ઓલ્ડ ઈઝ ગોલ્ડ નહી પણ ન્યૂ ઈઝ ગોલ્ડનું નવું સમીકરણ રચાઈ ગયું.
સોશ્યલ મિડિયામાં પણ આ અંગે જાતજાતની કોમેન્ટો શરૂ થઈ ગઈ. સૌએ પોતપોતાની રીતે મંતવ્યો આપવા શરૂ કરી દીધા. કો’કે એવું લખ્યું કે પાટા પર દોડી રહેલી ટ્રેનના એક બે ડબ્બા નહિ પણ એન્જિન અને તમામ કોચ (ડબ્બા) બદલાઈ ગયા. કો’કે એમ પણ લખ્યું કે માત્ર એક કે બે અંગનું ઓપરેશન કરવાને બદલે શરીરના તમામ અંગોનું ઓપરેશન સફળ રીતે કરી નાખ્યું. એક વિવેચકે તો એમ પણ કહ્યું કે ગુજરાતમાં નો રિપિટ થીયરીનો સો એ સો ટકા ઉપયોગ કરીને ગુજરાતમાં પ્રયોગ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જાેડીએ નવો માર્ગ ચિંધી દીધો.
રૂપાણી પ્રધાનમંડળમાં એક નાયબ મુખ્યમંત્રી હતાં. હવે બે ની વાતો ચર્ચાતી હતી. પરંતુ નાયબ મુખ્યમંત્રીપદના હોદ્દાનો છેદ ઉડાવી દેવાો. પેટા ચૂંટણી જીતેલા પાંચ ધારાસભયોને પ્રધાનપદની લોટરી લાગી ગઈ. ૨૦૧૭માં મુખ્યમંત્રી અને પ્રદેશપ્રમુખ બન્ને સૌરાષ્ટ્રના હતાં. ૨૦૨૧ના સપ્ટેમ્બર માસમાં ચિત્ર એકદમ બદલાઈ ગયું. પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતના અને તેય વળી પાછા વર્ષોથી ગુજરાતને પોતાનું વતન બનાવી ચૂકેલા મહારાષ્ટ્રીયન સી.આર. પાટીલ છે તો મુખ્યમંત્રી મધ્ય ગુજરાતના આવ્યા. આમ ઉચ્ચ હોદ્દામાંથી સૌરાષ્ટ્રની હાલ પૂરતી બાદબાકી થઈ છે તેવું તો ચોક્કસ કહી શકાય. પ્રધાનમંડળમાં જ્ઞાતિવાદી સમીકરણ સંખ્યાના પ્રમાણમાં મહદ્ અંશે જાળવવાનો પ્રયાસ થયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો રૂપાણી પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો હતો. હવે ‘ટીમ ભુપેન્દ્ર’માં દક્ષિણ ગુજરાતના ૩ કેબિનેટ પ્રધાનો સહિત આઠ પ્રધાનો છે, જ્યારે સૌરાષ્ટ્રને સાત મધ્ય ગુજરાતને ૬ અને ઉત્તર ગુજરાતને ત્રણ પ્રધાનો મળ્યા છે.
હવે આમા સૌએ પોતાની રીતે ગણિતો ગણ્યા છે. ગણા એમ કહે છે કે આ ‘નો રિપિટ’ અને તેમાંય નવા ચહેરાઓને તક આપવાનું પગલું સત્તાની ટોચ પર પહોંચી શકે તેવી ટીમ ઉભી કરવાનો પ્રયાસ છે. જ્ઞાતિના કે પોતાની વગના કારણે પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા અનેક આગેવાનોને ભાજપ મોવડી મંડળે બહારનો રસ્તો દેખાડી દીધો છે. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભલે દાદા કહેવામાં આવતા હોય પરંતુ તેમનું પ્રધાનમંડળ રૂપાણી સરકાર કરતાં સરેરાશ વયની દૃષ્ટિએ યુવાન છે. આ પ્રધાનમંડળની સરેરાશ વય ૫૩.૪૮ વર્ષ છે. જ્યારે અગાઉના પ્રધાનમંડળની સરેરાશ વય ૫૯ વર્ષ આસપાસ હતી. આની સૌથી મોટી વાત એ છે કે અત્યારે કેન્દ્રના ગૃહમંત્રી તરીકે અસરદાર કામગીરી કરી રહેલા અમીત શાહ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર ૩૮ વર્ષની હતી, જ્યારે સુરતના મંજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી ૩૬ વર્ષની ઉંમરે ગૃહરાજ્યમંત્રી બન્યા છે અને તેમણે અમિતભાઈનો વિક્રમ તોડી નાખ્યો છે. જ્યારે ૧૯૯૪માં છબીલદાસ મહેતાની સરકારમાં ગૃહરાજ્યમંત્રી બનેલા નરેશ રાવલનો ૩૫ વર્ષની વયે મુખ્યમંત્રી બનવાનો વિક્રમ યથાવત રહ્યો છે. ૨૦૧૨માં હર્ષ સંઘવી સુરતમાંથી ચૂંટાયા ત્યારે તે વખતે તે રાજ્યના સૌથી નાની વયના અને યુવાન ધારાસભ્ય હતાં.
જ્ઞાતિવાદી સમીકરણો પ્રમાણે ગયા વર્ષે પાંચ લેઉઆ પટેલ અને બે કડવા પટેલને મંત્રી બનાવાયા હતાં જ્યારે નવા પ્રધાનમંડળમાં મુખ્યમંત્રી સહિત ત્રણ કડવા પટેલ સમાજના છે તો લેઉઆ પટેલ સમાજના ચાર પ્રધાનો તો રહ્યા જ છે. જાે કે આની સામે લેઉઆ અને કડવા પટેલ આગેવાનોને કેન્દ્રમાં કેબિનેટ કક્ષાનું પદ આપી આ બન્ને સમાજને તેમજ સાથોસાથ સૌરાષ્ટ્રને ત્રણ કેન્દ્રીય પ્રધાનો આપી સૌરાષ્ટ્રને તો પહેલેથી જાળવી લેવાયું છે.
આ બધા ઝોન જ્ઞાતિને જાળવવાની વાત વચ્ચે સૌથી મોટી વાત ‘નો રિપિટ’ થીયરીની છે. ઘણા રાજકીય વિશ્લેષકો કહે છે કે આ નો રિપિટ થીયરી આખા પ્રધાનમંડળ માટે દેશમાં પહેલીવાર અમલી બનાવાઈ છે અને તેનો પ્રયોગ ભાજપે પ્રથમ વખત ગુજરાતમાં કર્યો છે. આખા પ્રધાનમંડળ માટે નો રિપિટ થીયરીનો પ્રયોગ જાે થોડો ઘણો પણ સફળ થતો લાગશે તો કદાચ એવું પણ બની શકે કે દેશમાં ક્રમશઃ અન્ય ભાજપશાસિત રાજ્યોમાં પણ શરૂ થઈ શકે છે. ‘કોરી સ્લેટ’ આપવાની મોદીની પદ્ધતિ માત્ર ગુજરાત મોડલ ન રહેતા ભવિષ્યમાં દેશનું મોડલ પણ બની શકે છે. આજે દેશના વિકાસમાં પણ ગુજરાત મોડલનો ઘણા ક્ષેત્રમાં ઉપયોગ થઈ રહ્યો છે તે હકિકત છે.
ઘણા નિષ્ણાતો એવું ગણિત પણ માંડે છે અને એવું અનુમાન પણ કરે છે કે કદાચ એવું પણ બની શકે કે ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી સમયે પણ કદાચ ભાજપ તમામ વર્તમાન ધારાસભ્યોને કાપી નવા ચહેરા ઉતારી પ્રધાનમંડળની જેમ ઉમેદવારોની પસંદગીમાં પણ ‘નો રિપિટ’ અપનાવી શકે છે. જાે કે અત્યારે આ બાબતમાં અટકળો કરવી વહેલી છે. ‘નો રિપિટ’ થીયરીવાળું પ્રધાનમંડળ સફળતાની કક્ષામાં આવ્યું તો કદાચ આવો પ્રયોગ થઈ શકે અને ‘નો રિપિટ’ થીયરીનું પુનરાવર્તન થઈ શકે છે.
કેરી ચુસ્યા બાદ ગોટલો ફેંકી દેવા ” જેવી અવહેલના / ભાજપને સમર્પિત અનેક નેતાઓ જે તેમના સમર્પણ મુજબની સન્માનજનક વિદાય નથી મેળવી શક્યા