Gir Somnath News/ સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક

Somnath અમૃતપર્વ-2026 નિમિત્તે 11 મેના રોજ 90 મીટર ઊંચી ક્રેન દ્વારા સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી પ્રથમવાર ઐતિહાસિક કુંભાભિષેક થશે. પીએમ નરેન્દ્ર મોદી મહાપૂજા કરશે.

Top Stories Gujarat Others
Somnath Amrutparv 2026

Somnath Amrutparv 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-2026” ને લઈને શિવભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અમૃતપર્વ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પવિત્ર ભૂમિ પર એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર મંદિરના ગગનચુંબી શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ‘કુંભાભિષેક’ કરવામાં આવશે.

Somnath Amrutparv 2026

પીએમ મોદીની વિશેષ ઉપસ્થિતિ અને મહાપૂજા

આ ઐતિહાસિક અને આધ્યાત્મિક અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વિશેષ રૂપે સોમનાથ પધારી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન મોદી સવારે સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરશે અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરશે.

90 મીટર ઊંચી ક્રેનથી થશે શિખર પર અભિષેક

આ કુંભાભિષેક કોઈ સામાન્ય અભિષેક નથી. 90 મીટર ઊંચી એક વિશાળ ક્રેનની મદદથી પવિત્ર જળથી ભરેલા ભવ્ય કુંભને મંદિરના છેક શિખર સુધી લઈ જવામાં આવશે. આ કુંભમાં દેશના 11 અલગ-અલગ પવિત્ર તીર્થોના જળનો સંગમ હશે. ક્રેન દ્વારા ભૂદેવો (બ્રાહ્મણો) પણ શિખર સુધી જશે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ વેદ મંત્રોચ્ચાર સાથે શિખર પર જળનો પવિત્ર અભિષેક કરવામાં આવશે.

Somnath Amrutparv 2026

દક્ષિણ ભારતની પરંપરાના હવે Somnathમાં દર્શન

તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે આ વિશેષ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં શિખર પર કુંભાભિષેક થવાની આ સૌપ્રથમ ઘટના છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે આ પ્રકારની પરંપરા દક્ષિણ ભારતના રાજ્યોના મંદિરોમાં વિશેષ જોવા મળે છે. ત્યાં મોટેભાગે દર 10-12 વર્ષે મંદિરના શિખર પર જળનો અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ હવે આ અતિ પવિત્ર પરંપરાના દર્શન ભક્તોને સોમનાથમાં પણ પહેલીવાર થશે.”


આ પણ વાંચો: સોમનાથ મંદિર હસ્તકનું શોપીંગ સેન્ટર જમીનદોસ્ત કરવામાં આવ્યું

આ પણ વાંચો: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ,પ્રભાસ પાટણમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો: સોમનાથ મંદિર: અતિક્રમણ અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી રહી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ઊંચાઈ 5-6 ફૂટ હોવી જોઈએ