નવી દિલ્હી,
ભારત અને યજમાન ઈંગ્લેંડ વચ્ચે રમાનારી ૫ ટેસ્ટ મેચની મહત્વપૂર્ણ શ્રેણીની શરૂઆત ૧ ઓગષ્ટના રોજથી થઇ રહી છે. આ પહેલા બંને ટેસ્ટ ટીમો કપરી શ્રેણીની તૈયારીઓમાં લાગેલી છે.
જો કે આ પહેલા મહેમાન ભારતીય ટીમ પાસે આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સહિતનું વર્લ્ડનું બેસ્ટ સ્પિન બોલિંગ આક્રમણ છે, ત્યારે યજમાન ટીમ પોતાના સ્પિન બોલિંગ આક્રમણને વધુ મજબૂત બનાવવા માટે એક ચાલ ચાલી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈંગ્લેંડ પણ હવે પોતાના સ્પિન હથિયારને મજબૂત બનાવવા માટે સ્પિનર આદિલ રાશિદને ટીમમાં સમાવેશ કરાવવા માટે વિચારી રહ્યું છે.
આ વાત મહત્વની છે કારણ કે, રશીદ ટેસ્ટ ક્રિકેટમાં પહેલેથી જ અલવિદા કરી ચુક્યા છે, ત્યારે હવે રિટાયર્ડમેન્ટ પાછું લેવા માટે ઈંગ્લેંડ આ ખેલાડીને કહી શકે છે.
આ છે મુખ્ય કારણ
મહત્વનું છે કે, હાલમાં જ રમાયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં રશીદે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પિન બોલર આદિલ રશીદે ખાસ કરીને અંતિમ વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ કર્યો હતો જેને બોલ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવ્યો હતો.
ત્રણ વન-ડેમાં રશીદે ૬ વિકેટ ઝડપી હતી અને ટીમના વિજયમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો.
મહત્વનું છે કે, આદિલ રશીદે પોતાની અંતિમ ટેસ્ટ ભારત સામે જ ૨૦૧૬માં રમી હતી.રશીદના ટેસ્ટ કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓએ ૧૦ ટેસ્ટ મેચમાં ૪૨ના વધુ એવરેજથી ૩૮ વિકેટ ઝડપી હતી.
જો કે આ અંગે રશીદે જણાવ્યું હતું કે, “હું ટેસ્ટ ક્રિકેટ છોડી ચુક્યો છું, પરંતુ ટીમને મારી જરૂરત હશે તો હું આ અંગે જરૂરથી વિચારીશ”.