જ્યારે પણ મિત્રતાની ચર્ચા થાય ત્યારે શ્રીકૃષ્ણ અને સુદામાની જોડી પહેલા જ યાદ આવે છે. કળિયુગમાં પણ મિત્રતાની સરખામણી શ્રીકૃષ્ણ અને સુદામા સાથે જ કરાય છે. શ્રીકૃષ્ણ અને સુદામા બાળપણ થી જ સારા મિત્રો હતા.
સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા એક જ ગુરૂ પાસે ભણ્યા. બાળપણ દરમ્યાન આ બન્ને વચ્ચે મૈત્રી સંબંધ રચાયો. આગળ જતાં કૃષ્ણ દ્વારકા જેવા અતિસમૃદ્ધ અને બળવાન રાજ્યના મહારાજા બન્યા. ઐશ્વર્ય અને બળ બન્ને બાબતે કૃષ્ણ ખૂબ આગળ નીકળી ગયા. સામે પક્ષે સુદામા ગરીબ બ્રાહ્મણ જ રહ્યા.

આશ્રમની નજીક માં એક ગામ હતું. ગામમાં એક ખૂબ જ દરિદ્ર બ્રહ્માણી રહેતી હતી. બ્રાહ્મણી ભિક્ષા માંગી ને પોતાનું જીવન ગુજરાન કરતી. એક વાર સતત 4 દિવસ સુધી ભિક્ષા ના મળી. રોજ રાત્રે પાણી પી ભગવાન વાસુદેવ નું નામ લઈ સુઈ જતી.
પાંચમા દિવસે ભિક્ષા માં એક પોટકી જેટલા ચણા મળ્યા. ભિક્ષા માંગી બ્રાહ્મણી પોતાના ઝૂંપડે આવી, અને સંકલ્પ કર્યો કે આ ચણા સવારે વાસુદેવને ભોગ કરી ને પોતે ખાશે. આવું વિચારી સુઈ ગઈ.
મધરાતે ઝૂંપડામાં 2 ચોર આવ્યા. આમ તેમ બધું ખોળવા લાગ્યા. ત્યાં તેમને ચણા ની પોટલી મળી. ચણા ની પોટલી ને સોનાની પોટલી સમજી ચોર ભાગવા લાગ્યા. એટલામાં બ્રાહ્મણી જાગી ગઈ અને ચોર ચોર ની પાછળ બુમો પાડવા લાગી. ચોર પણ ભાગતા ભાગતા ગામ તરફ આવ્યા.
ગામમાં આશ્રમ જોઈ બંને ત્યાં સંતાઈ જવાનું નક્કી કર્યુ. જેવા આશ્રમમાં દાખલ થયા કે ગૃહમાતા જાગી ગયા અને બહાર આવ્યા. ચોર ત્યાંથી પણ ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા ચણા ની પોટલી આશ્રમ માં જ પડી ગઈ.

આ બાજુ દરિદ્ર બ્રાહ્મણી પણ ખૂબ હતાશ અને દુઃખી થઈ ગઈ. સંતાપ કરવા લાગી. બ્રાહ્મણી ના મુખે થી શ્રાપ નીકળી ગયો કે જે પણ આ ચણા ખાશે, એ ખૂબ દરિદ્ર થઈ જશે.
ગૃહમાતા ને ચણા ની પોટલી મળે છે , જે પોતે જ રાખી લે છે.અને આશ્રમમાં મૂકી દે છે.
સવાર પડતા જ સંદીપન મુનિ શ્રી કૃષ્ણ અને સુદામા ને જંગલ માં લાકડા કાપવા માટે મોકલે છે. એ દરમિયાન ગૃહમાતા પેલી ચણા ની પોટલી સુદામા ને જંગલ માં લાકડા કાપ્યા બાદ ભૂખ લાગે તો ખાઈ લેવા આપે છે. લાકડા કાપ્યા બાદ શ્રી કૃષ્ણ સુદામા ને ચણાની પોટલી આપવા કહે છે.

સુદામા બાળપણ થી જ બ્રહ્મજ્ઞાની હતા. ચણા ની પોટલી હાથ માં લેતા જ શ્રાપ વિશે જાણ થઈ જાય છે. તેથી તે મિત્રતા ખાતર એવું વિચારે છે કે, આ પોટલીના ચણા જો શ્રીકૃષ્ણ ખાઈ જશે તો તે દરિદ્ર થઇ જશે એટલા માટે તે શ્રીકૃષ્ણને કહ્યા વગર જ ચણા ખાઈ લેવાનું નક્કી કરે છે. અને એવું વિચારે છે કે, પોતાનો મિત્ર અને જગતનો નાથ દરિદ્ર થઈ જાય તો મારી મિત્રતા ખોટી કેહવાય. આથી પોતેજ બધા ચણા ખાઈ જાય છે. શ્રીકૃષ્ણ ને એકપણ દાણો આપતા નથી.

આમ બ્રાહ્મણી નો શ્રાપ પોતાના પર લઈ લે છે. આજીવન પોતે દરિદ્રતા ભોગવી ને મિત્રે ને ધનવાન રાખે છે. આવી મિત્રતા હતી સુદામા અને શ્રી કૃષ્ણ ની. જોયું મિત્રો, કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્રપ્રેમ.તો મિત્રો, સાચા પ્રેમમાં નથી ઊંચ – નીચ જોવાતી કે નથી જોવાતી અમીરી- ગરીબી. માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઇબંધીને સાચા મિત્ર પ્રેમના પ્રતિક તરીકે યાદ કરે છે. ધન્ય છે શ્રીકૃષ્ણને… ગરીબીમાં પણ મૈત્રીની ગરિમા જાળવનાર સુદામાને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
