રાજકોટમાં જળસંકટને મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટાળ્યું છે. શહેરની જનતાના જીવાદોરી સમાન આજી ડેમમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી હતું. આથી મનપા કમિશનરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. રૂપાણીએ પ્રજાલક્ષી ઉમદા નિર્ણય લઇ સૌની યોજના હેઠળ ફરી રાજકોટમાં નર્મદાનું નીર પહોચાડ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ માટે આ આશિર્વાદરૂપ નિર્ણય બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આજી ડેમમાં કુલ 930 MCFT જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ માત્ર 200 MCFT જળ જથ્થો જ હોય મુખ્યમંત્રી સમક્ષ આગામી સમયને ધ્યાનમાં રાખીને રાજકોટના જળાશયોની વર્તમાન સ્થિતિ રજૂ કરવામાં આવી હતી.

આજી ડેમમાં અલ્પ પ્રમાણમાં જળ જથ્થો હોવા અંગે પણ મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્થિતિ રજૂ કરી આજી ડેમ માટે નર્મદા નીર અપાવવા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી. જેથી આગામી સમયમાં રાજકોટવાસીઓને પીવાના પાણીની કોઇ તકલીફ ન થાય તે બાબતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીએ આજી ડેમ માટે નર્મદાના 735 MCFT નીર છોડવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

આ નિર્ણયને પગલે નર્મદાનીર છોડવાનું શરૂ થઇ ચૂક્યું છે. મહાનગરપાલિકા કમિશ્નર ના જણાવ્યા મુજબ પાણી રાજકોટ નજીક ત્રમ્બા ગામ સુધી પહોંચી ગયું છે. સૌની યોજના ને કારણે હવે રાજકોટને ચોમાસા સુધી પાણીની ચિંતા નહિ કરવી પડે.
