Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે આવેલ પેટ્રોલપંપની બાજુમાં નેશનલ હાઇવે પર ગત તા.28 જાન્યુઆરીના રોજ ગંભીર અકસ્માત થયેલ હતો. જેમાં 3 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજેલા હતા. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સબંધિત ઓથોરિટી તપાસના આદેશ આપવામાં આવેલ હતા.જે તપાસમાં અકસ્માત સ્થળની આગળના ભાગમાં ડીવાઈડર તોડવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ હતું.
જેથી જિલ્લા મેજિસ્ટ્રેટએ આ ગંભીર ગુન્હો કરનાર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવેલ. જે અન્વયે નેશનલ હાઇવે ઓથોરિટી, ભાવનગર દ્વારા જરૂરી તપાસ તજવીજ કરતા તૂટેલા ડીવાઈડરની સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપના માલિક/સંચાલક દ્વારા પોતાના ધંધાકીય આર્થિક લાભ માટે ડીવાઈડર તોડવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા, આજરોજ ઉના પોલીસ સ્ટેશનમાં ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
વધુમાં, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં જિલ્લામાં આવા ગંભીર અકસ્માત થતાં અટકાવવા સારું નેશનલ હાઇવે પરના અનધિકૃત રીતે તોડવામાં આવેલ ડીવાઈડરનો સર્વે હાથ ધરી અને તેને યુદ્ધનાં ધોરણે બંધ કરવા આદેશ આપતા, હાઇવે પરના તમામ અનધિકૃત કટિંગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.ભવિષ્યમાં પણ નેશનલ હાઇવે પર અનધિકૃત કટિંગનો નિયમિત સર્વે હાથ ધરી અને રોડ સેફ્ટીની બેઠકમાં રજૂ કરવા RTO તથા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવેલ હતું કે, ભવિષ્યમાં કોઈ પણ ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે ડીવાઈડરને તોડવામાં કે નુકશાન કરવામાં આવશે તો તેના વિરૂદ્ધ કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ટાંકાનાં બદલે ફેવિકોલ લગાવનાર નર્સ સામે કાર્યવાહી, સરકારી હોસ્પિટલમાં મોટી ભૂલ
આ પણ વાંચો: 51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી
આ પણ વાંચો: વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતું હતું ગેરકાયદે કામ, સાયબર સેલની કાર્યવાહી
