સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં ભયાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તારણ મુજબ બોઈલરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં 15 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. ફાયરબ્રિગેડને સવારે 9.50 મીનીટે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક નગરસેવકો અને ઉચ્ચ અધિકારો ઘટના સ્થળે દોડી ગયા છે.
બિલ્ડીંગનું સ્ટ્રક્ચર અંદાજે 30 વર્ષ જુનું છે અને ફાયર ફાઈટરની ટીમ જીવના જોખમે આગ પર કાબુ લેવાના પ્રયત્નો કરી રહી છે. ચીફ ફાયર ઇન્ચાર્જ ઓફિસરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે આગ પર 25 ટકા કાબૂ મેળવાઈ ચૂક્યો છે. મહત્વની વાત એ છે કે, મીલમાં આવવા જવા માટે એક જ રસ્તો આવેલો છે જેથી ફાયરબ્રિગેડના જવાનોને અગવડ થઇ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ડાઇંગ પેઇન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે તે પેટ્રોલીયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ ઉપર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.
આગની ઘટનાને લઇ દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ રહી છે.
મીલ માલિકના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી બંધ હતી. આજે એટલે કે શનિવારે સવારે મીલ શરુ કરવામાં આવી છે. કયા કારણોસર હજુ આગ લાગી તે અકબંધ છે તેવું મીલ માલિક જણાવી રહ્યા છે.