Gandhinagar News: વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળે તે માટે શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલીઓ વધી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના બેંક ખાતા, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારે હવે શિષ્યવૃત્તિ સાથે રેશનકાર્ડ લિંક કરવાની નવી સિસ્ટમ અમલમાં મૂકી છે.
પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પણ પત્ર લખીને પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતી શિષ્યવૃત્તિ અંગેના નિયમો હળવા કરવાની દરખાસ્ત કરી છે. ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરીને પ્રક્રિયાને સરળ બનાવવા રજૂઆત કરાઈ છે. શું છે નવો ફતવો? સરકારના વિવિધ વિભાગોએ રાશન કાર્ડ ડેટાબેઝમાં તમામ વિદ્યાર્થીઓના આધાર આધારિત બાયોમેટ્રિક ઇ-કેવાયસી કરવાનો ફતવો બહાર પાડ્યો છે.
હવે રેશનકાર્ડને વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ કચેરીએ પણ શાળાઓના આચાર્યોને પરિપત્ર જાહેર કર્યો છે. જે વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં નથી તેવા વિદ્યાર્થીઓના નામો બનાવીને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ કચેરીમાં જમા કરાવવા અને વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ઉમેરવા જણાવાયું છે. આમ જે વિદ્યાર્થીઓ પાસે રેશનકાર્ડ નથી તેઓએ નવું રેશનકાર્ડ બનાવવું પડશે. જો કે, જો આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ નથી, તો શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં.
પ્રાથમિક શિક્ષણ સંઘે પ્રક્રિયાને સરળ બનાવવાની દરખાસ્ત કરી હતી. પરંતુ શિક્ષણ મંત્રીને સુપ્રત કરવા છતાં શિષ્યવૃતિ સહાયની પ્રક્રિયા સરળ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ શિષ્યવૃત્તિ સહાય પ્રક્રિયાને સરળ ન બનાવતા કંટાળી ગયા છે. શિષ્યવૃત્તિ સહાય પ્રક્રિયાથી કંટાળીને, એક વિદ્યાર્થીએ આખરે શિષ્યવૃત્તિ લેવાની ના પાડી દીધી છે. સ્કોલરશીપ લેવાનો ઈન્કાર કરતા આચાર્ય અને વર્ગ શિક્ષકને પત્ર લખવામાં લખ્યો છે.
આ પણ વાંચો: પોણા બે લાખથી વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષામાં નાપાસ
આ પણ વાંચો: આજે શિષ્યવૃત્તિની પરીક્ષાઃ 6થી 9ના 3.21 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
આ પણ વાંચો: લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં CBI એકશન મોડમાં,FIR નોંઘી 21 રાજ્યોની 830 સંસ્થા સામે તપાસ કરશે
