ગુજરાતના વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ સરકાર માટે હાલ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. રાજ્યમાં અનેક સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન ભાજપ સરકાર માટે પડકાર રૂપ છે, આ વિરોધ પ્રદર્શન અને આંદોલનના નિરાકરપણ માટે સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે,છંતા પણ અત્યાર સુધી કોઇ હલ આવ્યું નથી. જેના લીધે ભાજપની સ્થિતિ વધુ કફોડી બની છે, એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી બાજુ આંદોલન પુરજોશમાં ચાલી રહ્યા છે. આંદોલન સમાપ્ત કરવા માટે સરકારે આ સંગઠનો સાથે વાતચીત કરી સમાધાનનો રસ્તો નીકાળવાનો નિર્ણય લીધો છે
ગાંધીનગરમાં ખેડૂતો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી, વનરક્ષકો ઉપરાંત તલાટી અને પંચાયતના વિલેજ કમ્પ્લેયર સહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ તો સમાન વીજદર સહિતના પ્રશ્નો ન ઉકેલાતા હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાની બહાર ધરણાનું આયોજન કર્યું છે. ત્યારે ચારે તરફ આ ધમધમતા આંદોલનની આગને ઠારવા માટે ભાજપે જીતુ વાઘાણી સહિતના પાંચ મંત્રીઓની કમિટી તો રચી પરંતુ આમ છતાં આ આંદોલનનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
મુખ્યમંત્રીએ પાંચેય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં આ આંદોલનને ખતમ કરવા માટે શું-શું કરી શકાય તે અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પાસેથી બાંહેધરી પત્રક લેવાના મામલે પણ વિવાદ વકર્યો છે ત્યારે બુધવારે મોડી રાત સુધી સીએમ હાઉસે ગૃહમંત્રી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી છે. આ અગાઉ બુધવારે બપોરે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને પણ પાંચેય મંત્રીઓની બેઠક થઈ હતી જેમાં આંદોલનકારીઓ સાથે વાતચીત કરવાનું નક્કી કરાયું હતું.
ચૂંટણી નજીક છે અને ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતું અને આ વખતે તેમના સામે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતું આમ આદમી પાર્ટી પણ છે. રાજ્યમાં અલગ-અલગ આંદોલનકારીઓ સાથે હવે સરકાર વાટાઘાટો માટે તૈયાર થઈ છે. ત્યારે એ જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામા સફળ રહેશે? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?