Tuver MSP Purchase Gujarat : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, આગામી 23 ફેબ્રુઆરી, 2026થી સમગ્ર રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
Tuver ટેકાનો ભાવ ₹1,600 પ્રતિ મણ
ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે ₹1,600 પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યો છે. આ પોષણક્ષમ ભાવ મળવાના હોવાથી રાજ્યમાં આ વર્ષે તુવેરનું પુષ્કળ વાવેતર જોવા મળ્યું છે.
1.33 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી
કૃષિ મંત્રીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની તુવેર વેચવા માટે અત્યાર સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવી દીધી છે. આ વર્ષે તુવેરના વિપુલ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતોની સુવિધા માટે રાજ્યભરમાં આશરે 130 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વધુમાં, સરકારે ખાતરી આપી છે કે જે ખેડૂતોએ સત્તાવાર રીતે નોંધણી કરાવી છે, તે તમામ પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેરની ખરીદી કરવામાં આવશે જેથી કોઈ પણ ખેડૂતને મુશ્કેલી ન પડે.

SMS દ્વારા જાણ કરવામાં આવશે
ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે, તેમને મોબાઈલ પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. SMS મળ્યા બાદ ખેડૂતોએ પોતાના પાકના જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.
સરકારનું આગોતરૂ આયોજન
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખરીદી પ્રક્રિયા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભાવ જાહેર કરી દેવાતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:PM Kisan યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? જાણો
આ પણ વાંચો:PM કિસાન 21મો હપ્તાનો લાભ કોને મળશે, PM-KISAN પર જાણો….
આ પણ વાંચો:ભારતના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, PM-કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે
