Udhayanidhi Stalin Detained: કાવેરી જળ વિવાદને લઈને કરાયેલી એક કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ડીએમકે નેતા અને વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિન સામે તામિલનાડુમાં રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ તેમની અટકાયત કરવામાં આવી છે. આ મામલે શાસક પક્ષ અને ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે, જ્યારે ડીએમકે આ કાર્યવાહી રાજકીય બદલો હોવાનું કહી રહી છે.
શું છે સમગ્ર વિવાદ?
કાવેરી જળ વિવાદ મુદ્દે યોજાયેલી એક જાહેર સભામાં ઉધયનિધિ સ્ટાલિન રાજ્ય સરકારની કામગીરી પર પ્રહાર કરી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી “તૃષા, તૃષા”ના નારા સંભળાતા તેઓ થોડા સમય માટે અટક્યા અને કથિત રીતે દ્વિઅર્થી ટિપ્પણી કરી. આ નિવેદનને અભિનેત્રી તૃષા સાથે જોડીને જોવામાં આવ્યું, જેના કારણે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ.
શાસક પક્ષ અને ભાજપનો વિરોધ
વિવાદ બાદ તામિલનાડુમાં ટીવીકે અને ભાજપે ઉધયનિધિ સ્ટાલિન(Udhayanidhi Stalin) પર આકરા પ્રહારો કર્યા. ટીવીકેના નેતા આદવ અર્જુનાએ તેમની ભાષાની ટીકા કરતાં મહિલાઓ પ્રત્યે અપમાનજનક વલણ હોવાનો આરોપ લગાવ્યો. પક્ષના પ્રવક્તા ફેલિક્સ ગેરાલ્ડે પણ જાહેર જીવનમાં આવી ભાષા યોગ્ય છે કે નહીં તેવો સવાલ ઉઠાવ્યો.
બીજી તરફ ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપથીએ આ ટિપ્પણીને ઘૃણાસ્પદ ગણાવી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી અને માફીની માંગ કરી હતી.

પોલીસ કાર્યવાહી અને હાઇકોર્ટમાં અરજી
વિવાદ વધતા પોલીસે ઉધયનિધિ સ્ટાલિન સામે કેસ નોંધ્યો અને તેમની અટકાયત કરી. મીડિયા સાથે વાતચીત દરમિયાન ઉધયનિધિએ(Udhayanidhi Stalin) પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે તેમણે કોઈ વ્યક્તિનું નામ લીધું નથી અને પોતાના નિવેદનમાં કંઈ ખોટું કહ્યું નથી. તેમણે પોલીસ કાર્યવાહી રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત હોવાનું પણ જણાવ્યું.
આ દરમિયાન તેમણે કાયદાકીય રાહત માટે મદ્રાસ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ દાખલ કરી છે.
ડીએમકેનો બચાવ(Udhayanidhi Stalin)
ડીએમકેના પૂર્વ મંત્રી ટી. મનો થંગારાજે સમગ્ર વિવાદને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ કાવેરી જળ વિવાદ અને ડેલ્ટા વિસ્તારના ખેડૂતોના મૂળ પ્રશ્નોથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ મુદ્દાને ઉછાળવામાં આવ્યો છે.
હાલ સમગ્ર મામલો રાજકીય અને કાયદાકીય બંને સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર કોર્ટની કાર્યવાહી તથા આગામી રાજકીય ઘટનાઓ પર ટકેલી છે.
આ પણ વાંચો: કાવેરી જળ વિવાદને લઈને આજે કર્ણાટકમાં બંધનું એલાન!
આ પણ વાંચો: કાવેરી જળવિવાદ : ચેન્નઈમાં રમાનારી IPLની તમામ મેચો થશે શકે છે શિફ્ટ : સૂત્ર
આ પણ વાંચો: કાવેરી જળવિવાદ : સુપ્રિમ કોર્ટનો નિર્ણય, તામિલનાડુને પાણીનો ઓછો જથ્થો મળશે,કર્ણાટકને વધારે
