Maharashtra News: સોલાપુરમાં કરમાલા ખાતે, માર્ગનિર્માણ સંબંધી ગેરકાયદે ઉત્ખનન અંગે કાર્યવાહી કરવા પહોંચેલી ડીએસપી અંજના કૃષ્ણા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર વચ્ચે ફોન તથા વીડિયો કોલ દ્વારા થયેલી વિવાદાસ્પદ વાતચીત વાયરલ થઇને ચર્ચાના ચગડોળે ચડી છે! ગામના લોકો અને પોલીસ વચ્ચેના આ વિવાદ દરમિયાન, એનસીપી કાર્યકરે ડેપ્યુટી CM અજીત પવાર સાથે વાત કરાવી, જે અંગે આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પવારે કાર્યવાહી અટકાવવાનું જણાવ્યું પરંતુ, IPS અધિકારીએ આમ કરવાનો સાફ નનૈયો ભણી દીધો!
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાલા ખાતે સડક નિર્માણ અર્થે થઇ રહેલા ગેરકાયદે ઉત્ખનન અંગે કાર્યવાહી કરવા પહોંચેલી ડીએસપી અંજના કૃષ્ણા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર વચ્ચે ફોન તથા વીડિયો કોલ દ્વારા થયેલી વિવાદાસ્પદ વાતચીત, હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
[fvplayer id=”79″]
મહિલા IPS અધિકારીએ ડેપ્યુટી CM ને ઓળખવાનો કર્યો સ્પષ્ટ ઈન્કાર?
હકીકતમાં, મહારાષ્ટ્રમાં આવેલા માઢા તાલુકાના કુર્ડૂ ગામમાં થઇ રહેલા ગેરકાયદે ઉત્ખનનની ફરિયાદ મળ્યા બાદ, ડીએસપી અંજના કૃષ્ણા પોતાની ટીમ સહિત ઘટનાસ્થળે પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન, ગામલોકો અને પોલીસ ટુકડી વચ્ચે આ અંગે ગરમાગરમી થઈ ગઇ હતી અને આ દરમિયાન, એનસીપી (NCP)ના કાર્યકર્તા બાબા જગતાપે સીધો જ ઉપમુખ્યમંત્રી અજિત પવારને ફોન લગાવી દીધો અને આ કૉલ IPS અધિકારી અંજના કૃષ્ણાના હાથમાં પકડાવી દીધો હતો!
આ બનાવ બાદ, વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજીત પવારે આ કાર્યવાહીને રોકવા માટે જણાવ્યું પણ, મહિલા IPS અધિકારી અંજના કૃષ્ણાએ એમને ઓળખવાનો સાફ-સાફ ઇન્કાર કરી દીધો! જો કે આ મામલામાં, હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી. અલબત્ત, ડીએસપી અંજના કૃષ્ણા, મામલતદાર અને પ્રાંત અધિકારીનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ વાયરલ કૉલમાં અજીત પવારને એવું કહેતા સંભળાય છે કે, ‘હું તમને આદેશ આપું છું કે એ અટકાવો અને તમે જઇને મામલતદારને કહો કે અજીત પવારનો ફોન આવ્યો હતો. ડેપ્યુટી સીએમ એ મને આ બધું રોકવાનું કહ્યું છે કારણ કે, અત્યારે મુંબઈનો માહોલ ખરાબ છે.’ આના જવાબમાં IPS અધિકારી કહી રહ્યાં છે કે, ‘તમે એક કામ કરો, તમે મારા ફોન પર ડાયરેક્ટ કૉલ કરો.’ આના ઉત્તરમાં અજીત પવાર કહે છે કે, ‘હું તમારા પર એક્શન લઇશ.’ વધુમાં એમને એવું કહેતા સંભળાય છે કે, ‘મારે તમને દેખવા છે. તમારો નંબર આપી દો, હું વ્હોટ્સએપ કૉલ કરું છું. મારો ચહેરો તો તમે ઓળખી જશો ને?’
‘કૉલનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે’
આ સમગ્ર વિવાદ પર એનસીપીના પ્રવકતા આનંદ પરાંજપેનું એવું બયાન સામે આવ્યું છે કે, ‘આ કૉલનો ખોટો મતલબ કાઢવામાં આવી રહ્યો છે. અજીત પવારે માત્ર એક પ્રોફેશનલ રીતથી વાતચીત કરી હતી.’ એમણે એમ પણ જણાવ્યું કે, ‘અંજના કૃષ્ણાનું એવું કહેવું કે, તેઓને રાજ્યના ડેપ્યુટી સીએમ વિશે જાણકારી નથી એ ખોટું છે. લોકશાહીમાં દરેક વ્યક્તિની વાતને સાંભળવી જોઇએ અને આ વીડિયોનું ખોટું અર્થઘટન કરવું જોઇએ નહિં.’
આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકાર ઝૂકીઃ હિન્દી ફરજિયાત રીતે નહીં લદાય
