કારતક સુદ બીજ; યમદ્વિતીયા; ભાવનબીજ. એ દિવસે ભાઈ બહેનને ત્યાં નોતરવાથી જમવા જાય છે. કારતક સુદ બીજને ભાઈબીજ કહેવાનું કારણ એવું છે કે, પ્રથમ યમુનાજીએ પોતાના ભાઇ યમરાજને પોતાને ત્યાં નોતરી જમાડ્યા હતા. તે દિવસે મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને કાપડું કરે છે. આ દિવસ સંબંધે જૈનોની એવી માન્યતા છે કે, મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસો વદ ની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદિવર્ધન રાજાને સમજાવી, આદર સહિત પોતાને ઘેર બોલાવી, ભોજન કરાવી શોક નિવાર્યો, જેથી ભાઈબીજ તરીકે પર્વ પ્રવર્ત્યુ.
કાર્તિક સુદ -૨ (બીજ) એટલે ભાઈબીજ. દેશભરમાં એક સરખા અંતરના ઉમળકા અને નિષ્ઠા સહિત ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેનના નિર્મળ, નિ:સ્વાર્થ છતાં અત્યંત રૂઢ સંબંધને હૃદયમાં તાજો કરી બળવાન બનાવવાનું નિમિત્ત બને છે. આ દિવસે બહેન પોતાના ભાઈને આમંત્રીને પોતાના ઘેર ખૂબ સ્નેહથી જમાડે છે અને ભાઈ-બહેનના એ ‘ભાવના ભોજન’ ની કદરરૂપે બહેનની રક્ષા અને સહાય માટે તો પુન:સંકલ્પબધ્ધ બને છે પણ સાથે સાથે પ્રતીકરૂપે કોઈ ભેટ કે રોકડ સ્વરૂપે રકમ પોતાની શક્તિ અનુસાર એવા જ ભાવપૂર્વક બહેનને આપે છે.આમ આ દિવસે ભાઈ-બહેનના નિર્મળ સ્નેહ અને અંતરના આશિષ પામે છે તો બહેન તેના માડીજાયાનો એવો જ સ્નેહ, હૂંફ અને હિંમત પામે છે
આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે. બલીરાજા દાનવીર હતા. આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે. આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે. ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.
