બંગાળ અને ઓરિસ્સામાં વાવાઝોડા પછીની સમીક્ષા બેઠકમાં વિપક્ષી નેતાઓને બોલાવાયા કારણ કે ત્યાં વિપક્ષે ભાજપ છે
ગુજરાતમાં વિપક્ષી નેતાને કેમ ન બોલાવાયા ? શું આ લોકશાહીનું ચીરહરણ નથી ? લોકશાહીપ્રેમીઓનો સવાલ
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
દેશ પર ફૂંકાયેલા અથવા તો વિવિધ સ્થળોએ ફૂંકાયેલા બે વાવાઝોડાને કારણે જે તે સરકારોની સતર્કતાને કારણે ભલે જાનહાની ઓછી થઈ છે પણ બીજું નુકસાન તો થયું જ છે. ૧૭મી રાતથી ૧૮મી બપોર સુધી ફૂંકાયેલા વાવાઝોડાએ પહેલા મુંબઈ-મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં વિનાસ વેર્યો છે. જાે કે ગુજરાતમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાએ વેરેલા વિનાશની કળમાંથી પ્રજા હજી મુક્ત થઈ નથી. સબ સલામતના દાવાઓ છતાં અમૂક વિસ્તારોમાં આજે પણ અંધારપટ છે. જ્યારે ૨૫ મીએ ઓરિસ્સા અને બંગાળને ધમરોળનાર યાસ વાવાઝોડાને કારણે પણ ભારે નૂકસાન થયું છે. ત્યાં તો જાનહાની ગુજરાતમાં થયેલ જાનહાનીના દસમા ભાગની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાજાેડાના બીજા જ દિવસે ભાવનગર આવી સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ૩ વિસ્તારોનું હવાઈનીરિક્ષણ કર્યુ અને અમદાવાદ જઈ સમીક્ષા બેઠક પણ કરી અને પછી દિલ્હી જવા રવાના થયા. જ્યારે યાસ વાવાઝોડું જ્યાં ફૂંકાયેલુ તે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની પણ વડાપ્રધાને મુલાકાત લીધી. પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ. ત્યારબાદ બન્ને સ્થળોએ સમીક્ષા બેઠક પણ કરી હતી.
ઓરિસ્સામાં તો વડાપ્રધાનની સમીક્ષા બેઠક પણ બરાબર ચાલી. કારણ કે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભલે ભાજપ એન.ડી.એ.ની સામે લડીને ચૂંટણી જીત્યા હોય પરંતુ તેઓ પહેલેથી કેન્દ્ર સાથે સહકારમાં જ રહે છે. પટનાયક કેન્દ્ર સાથે ક્યારેય વિવાદમાં ઉતરતા નથી. તે તો ઠીક પણ મોટાભાગના કિસ્સાઓમાં અને ચાવીરૂપ બંધારણીય સુધારાઓ વખતે નવીન પટનાયકે એન.ડી.એ.ના એક ઘટકની જેમ જ કામગીરી કરી છે અને કેન્દ્રના મોટાભાગના બંધારણીય સુધારાઓ પસાર કરાવવામાં નિર્ણાયક ભૂમિકા છે. તો રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની બે ચૂંટણીમાં બીજેડીના સાંસદોએ જનતાદળ (યુ) એટલે કે એન.જી.એ. જ ચૂંટાય તે માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભલે બીજેડી બીજુ જનતાદળ બીનભાજપ, બીનકોંગ્રેસી પક્ષ હોવાનો દાવો કરતો હોય પરંતુ હકિકતમાં તો એનડીએના ઘટક પક્ષ જેવી જ ભૂમિકા ભજવી છે તે હકિકત છે.
હવે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાનના કાર્યક્રમ અને સમીક્ષા બેઠક વગેરેમાં મમતા બેનરજી માત્ર નુકસાનીની વિગતોવાળું આવેદનપત્ર આપી જતા રહ્યાં. આ અંગે મોટો વિવાદ ઉભો થયો છે. પીએમઓ અને ભાજપ એમ કહે છે કે મમતા બેનરજીએ વડાપ્રધાનને રાહ જાેવડાવી અને ભાજપના ગૃહમંત્રી અમીત શાહથી શરૂ કરી મોટાભાગના નેતાઓ મમતા બેનરજી અને ટીએમસી પર માછલા ધોતા થઈ ગયા છે. જાે કે મમતા બેનરજીએ પણ મને વડાપ્રધાને ૨૦ મિનિટ રાહ જાેવડાવી તેવો વળતો આક્ષેપ પણ કરી દીધો છે. અધુરામાં પુરૂ હોય તેમ વડાપ્રધાન દિલ્હી પહોંચ્યા કે તરત જ બંગાળના મુખ્ય સચિવ બંદોપાધ્યાય ને દિલ્હી બોલાવવા ફરમાન છૂટ્યું. શો કોઝ નોટિસ અપાઈ પણ બંદોપાધ્યાય દિલ્હી ન ગયા અને નિવૃત્તિ સ્વીકારી લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની ટીમના સલાહકાર તરીકે જાેડાઈ ગયા. પરંતુ વડાપ્રધાને બોલાવેલી સમીક્ષા બેઠકમાં મમતા બેનરજી કેમ ન ગયા તેનું મૂળ કારણ એવું પણ હોવાનું બહાર આવ્યું છે કે વડાપ્રધાને બોલાવેલી સમીક્ષા બેઠકમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને મુખ્યમંત્રીના એક સમયના સાથીદાર સુવેન્દુ અધિકારીને આમંત્રણ અપાયું. તેમણે હાજરી પ ણઆપી અને સમીક્ષા બેઠક બાદ તરત મમતા બેનરજી પર આક્ષેપ પણ કર્યા. એક અહેવાલ અનુસાર શુવેન્દુ અધિકારીને જે રીતે સમીક્ષા બેઠક માટે આમંત્રણ અપાયું તે કાર્યશૈલી સામે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં પણ વિરોદ પક્ષના નેતાને આમંત્રણ અપાયું હતું અને આ નેતાએ હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળમાં પણ વિપક્ષના નેતા ભાજપના છે અને જાેગાનુજાેગ ઓરિસ્સા વિધાનસભામાં પણ વિરોધપક્ષના નેતા ભાજપના જ કહેવાય. જાે કે દેશના ચારથી પાંચ રાજ્યોમાં ભાજપના ધારાસભ્યો વિરોધ પક્ષના નેતાપદે બીરાજે છે.
હવે તાઉતે વાવાઝોડા બાદ હવાઈ નિરીક્ષણ પછી વડાપ્રધાને અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ સાથે બેઠક ગોઠવી તેમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને આમંત્રણ અપાયું નહોતું પછી તેમના હાજર રહેવાનો તો પ્રશ્ન જ ઉભો થાય છે ? હજી સુધી ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાએ આ મુદ્દો ઉઠાવ્યો નથી. પોતાની ટેવ અને હતાશાના કારણે કદાચ મૌન સેવવાનું પસંદ કર્યું હોય તેવું લાગે છે. જાે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તો આ મુદ્દો અવશ્ય ઉભો કર્યો છે. તેમણે પી.એમ.ઓ. કાર્યાલયને જે પાંચ પાનાનો પત્ર લખ્યો છે તેમાં પણ આ વાતનો ખાસ ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું હોવાના અખબારી અહેવાલો છે કે ગુજરાતમાં ભાજપ સરકાર પક્ષે અને કોંગ્રેસ વિપક્ષમાં છે માટે આમંત્રણ નથી આપ્યું ?
આ બાબતને ઘણા વિશ્લેષકોએ પણ ઉલ્લેખ કર્યો છે. પીએમઓ કાર્યાલય અને વડાપ્રધાન આ બાબતમાં બેવડું વલણ અપનાવતા હોવાનો આક્ષેપ પણ કરી નાખ્યો છે. સોશ્યલ મીડિયામાં તો એવી રમૂજી ટકોર પણ થઈ છે કે ગુજરાતમાં વિરોધ પક્ષના નેતાપદે જાે ભાજપના નેતા હોત તો ચોક્કસ તેને સમીક્ષા બેઠકમાં બોલાવત. સોશ્યલ મિડીયાના એક યુઝર્સે એવી બીજી ટકોર પણ કરી છે કે ભાજપ વિપક્ષમાં હોય ત્યાં તેના નેતાને બોલાવવા પાછળનો પી.એમ.ઓ. કાર્યાલયનું વલણ ભાજપને ભવિષ્યમાં વિરોધ પક્ષમાં બેસવાનું આવે તો તેનું રીહર્સલ કરવાનો તો નથી ને ?
જાે કે ગુજરાતમાં કોંગ્રેસની સભ્યસંખ્યા ૫૦ કરતાં વધુ રહે છે માટે તેને વિપક્ષનું નેતાપદ અને કેબિનેટ મંત્રી જેવી સગવડો મળે છે. બાકી કોંગ્રેસની સભ્યસંખ્યા ૧૮ કરતાં ઓછી હોય તો ભાજપ સરકાર વિપક્ષના નેતાપદને કોઈ સગવડ ન આપત. કારણ કે કેન્દ્રમાં ૨૦૧૪માં કોંગ્રેસને ૪૪ બેઠકો હતી. યુ.પી.એ. સાથે ૬૦ કરતાં વધી જતી હતી છતાંય લોકસભામાં કોંગ્રેસને વિપક્ષનું નેતાપદ મળ્યું નથી. ૨૦૧૮માં લોકસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા બાવન થઈ (આઠ બેઠકો વધી) અને યુ.પી.એ.ની સભ્યસંખ્યા ૭૦ને વટાવી ગઈ છે તેમ છતાં કોંગ્રેસના નેતા પોતાના પક્ષનું નેતાપદ ભોગવે છે પણ વિપક્ષના નેતા તરીકે કેબીનેટ રેન્ક ખાસ ઓફિસ જેવી કોઈ સત્તા મળી નથી.
ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ભાજપ સત્તાસ્થાને આવ્યો ત્યારે ડેપ્યુટી સ્પીકર તરીકે વિપક્ષના ધારાસભ્યને હોદ્દો આપવાની પરંપરા પાળી હતી અને ચંદુભાઈ ડાભીને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતાં પરંતુ ૧૯૯૮માં ફરી વિજય મળતાની સાથે જ ભાજપે આ પ્રથાને જાણે કે ભૂલાવી દીધી હોય તેમ મુખ્ય વિપક્ષ એટલે કે કોંગ્રેસને ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો આપવાનું બંધ કરી દીધું છે. હકિકતમાં કોઈપણ લોકશાહી પ્રેમી પક્ષ વિપક્ષની આવી અવહેલના કરી શકે નહિ. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસની બેઠક છીનવવા ભાજપે ખરીદવેચાણનો (જાે કે માત્ર ખરીદીનો !) કેવો ખેલ ૨૦૧૭ અને ૨૦૨૦માં ખેલ્યો હતો તેની ખબર છે. જાે કે ૨૦૧૭માં ભાજપ કોંગ્રેસની બેઠક ઝૂંટવી શક્યો નહોતો પણ ૨૦૨૦માં સફળ થયો હતો. ૨૦૧૭માં એકસાથે લોકસભામાં ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાંથી એક દિવસના અંતરે રાજીનામું આપ્યું અને ચૂંટણીપંચને બન્ને બેઠકોની ચૂંટણી એક દિવસે પણ અલગ રીતે યોજવી પડે તેવું વાતાવરણ સજ્ર્યુ. (જાે કે ઘણા વિશ્લેષકો એમ કહે છે કે પંચને ફરજ પાડવામાં આવી હતી)
૨૦૧૭માં રાજ્યસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના અહમદ પટેલ અને ૨૦૨૦માં ચૂંટાયેલ ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ યોજાયેલી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં એકસાથે બે બેઠકોની ચૂંટણી ન યોજાય તેવા દાવ ગોઠવીને કોંગ્રેસની બેઠક કોંગ્રેસને તો ન આપી પરંતુ અહમદભાઈના મૃત્યુનો મલાજાે જાળવવાનું સૌજન્ય પણ ભાજપના નેતાઓ ચૂકી ગયા હતા તેવું ઘણા લોકો કહે છે. ઘણા વિશ્લેષકોએ તો તે વખતે પણ આની ટીકા કરી હતી.
ભાજપના ઘણા નેતાઓ હવે એવું માનતા થઈ ગયા છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ તો ન જ જાેઈએ. ભાજપના ઘણા પ્રવક્તા જેવા વગદાર આગેવાન એવું ઉછળી ઉછળીને કહેતા હોય છે કે લોકોએ કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ સ્વીકાર્યો નથી. તેમના આ વિધાનો અહંકારની ભાષા સમાન છે જ. જીત જીરવી શકતા નથી તેનો પૂરાવો છે અને સાથોસાથ લોકશાહીનું ચીરહરણ પણ છે તેવી કોઈ વિશ્લેષક કે કોંગ્રેસના નેતા ટકોર કરે તો તે જરા પણ ખોટી નથી તે વાતની નોંદ લીધા વગર તો ચાલે તેમ નથી જ.