અબુજા: નાઈજિરિયાની રાજધાની અબુજામાં ખ્રિસ્તી અને મુસ્લિમોના બે જૂથ વચ્ચે ભડકેલી હિંસામાં પપ વ્યક્તિનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ આ હિંસા અંગેની જાણકારી આપી હતી. પ્રત્યદર્શીઓએ જણાવ્યું હતું કે, હૌસા મુસ્લિમો અને અદારા ખ્રિસ્તી સમુદાયના યુવકો વચ્ચે હાથલારી લગાવવાના મુદ્દે ઝઘડો થયો હતો.
નાઈજિરિયાની રાજધાની અબુજાના મુખ્ય બજારમાં હિંસાના કારણે ગત ગુરુવારે પણ બે વ્યક્તિનાં મોત નીપજ્યા થયાં હતાં, પરંતુ તે સમયે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂ કરી લીધી હતી. જો કે, આ પછી અદારા ખ્રિસ્તીઓએ હૌસા મુસ્લિમો પર હુમલો કર્યો હતો અને તેમના ઘર સળગાવી દીધા હતા.
નાઈજિરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીના કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ ઘટના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ નાઈજિરિયાના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ બુહારીએ જણાવ્યું છે કે, કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિ જીવનની પવિત્રતા માટે ઉપેક્ષાનું સમર્થન નથી કરતા. કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરે છે, જ્યારે લોકો શાંતિથી રહે. હિંસા ક્યારેય પણ શાંતિનો વિકલ્પ બની શકે નહીં.
રાષ્ટ્રપતિ બુહારી દ્વારા બંને સમુદાયના નેતાઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ મંત્રણા કરીને આ સમસ્યાનો કોઈ કાયમી ધોરણે ઉકેલ લાવે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ નાઈજિરિયામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં ૧૦ વ્યક્તિનાં મોત થયા હતા.