ગણપતિ બાપ્પાની આજથી દસ દિવસ આરાધના થશે. ઘરે-ઘરે અને સોસાયટીઓમાં ધામ-ધૂમ સાથે બાપ્પાને આવકારવામાં આવ્યા છે. વર્ષભર ભાવિકો બાપ્પાના આવવાની રાહ જોવે છે અને જ્યારે બાપ્પા આવે છે ત્યારે આનંદ-હિલ્લોર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરે છે. તો વળી દેશભરના ગણેશ મંદિરોમાં પણ આનંદ અને ઉત્સવો ઉજવાય છે. ભારતમાં અગણીત ગણેશ મંદિરો છે જે પોતાની જુદી જ ખાસીયત ધરાવે છે. આજે અહીં પણ એવા જ એક મંદિરની વાત કરવાની છે જે સમગ્ર દેશમાં જાણીતુ છે. અને પાંચ હજાર વર્ષ કરતા પણ પૌરાણિક છે. બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યા હોય એવા તો ઘણા મંદિરો છે પરંતુ કહેવાય છે કે આ મંદિર સ્વયંભૂ છે. તો ચાલો મળીએ આજે ગજાનંદના જુદા જ સ્વરૂપને.
દાદા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દને જાણે છે
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંક ગામના 5૦૦૦ વર્ષ કરતા પણ પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિરની અનોખી પરંપરા કે, જ્યાં ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દને જાણે છે. અહીં દરરોજની 150થી પણ વધારે ટપાલ ભક્તોની આવે છે. અને આ ટપાલો મંદિરના પૂજારી રોજ ગણપતિ બાપાને વાંચીને સંભળાવે છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ૨૪ કિલોમીટર દૂર ઢાંક ગામ આવેલુ છે, જ્યાં 5000 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલુ છે કહેવાય છે કે આ મંદિરમાં બાપ્પા સ્વંયમભુ પ્રગટ થયેલા છે. જેનો મહિમા કંઈક જુદુ જ છે. આ મંદિરની એક ખાસ વિશેષતા બાપ્પાનું વાહન છે. મોટાભાગે દાદાની સવારી ઉંદર પર હોય છે પરંતુ અહીં બાપ્પા સિંહ પર બિરાજમાન છે.
દુઃખ દર્દ, મનોકામના ગણપતિ બાપાને સંભળાવવામાં આવે છે
ઢાંક ગામ ખાતે લગભગ 25 વર્ષથી પૂજારી દ્વારા બાપ્પાને ટપાલ વાંચી સંભળાવવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા આજદીન સુધી જાળવી રાખવામાં આવી છે. દરરોજ ટપાલમાં આવેલા કવરો ખોલી ભાવિકોના દુઃખ દર્દ, મનોકામના ગણપતિ બાપાને સંભળાવવામાં આવે છે. અહીં દરોજ 150 જેટલા ટપાલ અને કવરો આવે છે. જેમાં ભાવિકોએ તેમના દુઃખ દર્દ લખેલ હોય છે. જે સંભળાવ્યા બાદ ભક્તોની મનોકામના દાદા દ્વારા પૂર્ણ થાય છે.
ઢાંક ગામ ખાતે દર વર્ષ ગણેશ મોહત્સવ ઉજવાય છે. અહીં ગણેશ મોહત્સવનો અનેરો મહિમા છે ભાવિકો દર્શનાથે આવે છે. ગુજરાતના ગણપતિ મંદિરોમાં ઢાંક ગામ ખાતે આવેલા ગણપતિન દાદાનો મહિમા નિરાલો છે.