કેન્દ્ર સરકારનાં કૃષિ બિલને લઇને હરિયાણા અને પંજાબનાં ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે આ સરકારી બિલ ખેડૂત વિરોધી છે અને તેને તાત્કાલિક પાછુ ખેંચી લેવામાં આવે. બુધવારે પણ હરિયાણાનાં ખેડૂતોએ કૃષિ બિલો સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને પોલીસને પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આજે પંજાબનાં ખેડૂતોએ આ કૃષિ બિલોનાં વિરોધમાં ‘રેલ રોકો‘ આંદોલન શરૂ કર્યું છે, જે આજથી ત્રણ દિવસ સુધી ચાલશે.
ગત સપ્તાહે કિસાન મઝદુર સંઘર્ષ સમિતિનાં મહામંત્રી સરવનસિંહ પંઢેરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કૃષિ બિલો સામે અમે 24 થી 26 સપ્ટેમ્બર સુધી પંજાબમાં રેલ રોકો આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, સરકારે લોકસભામાં આ કૃષિ બિલ પસાર કર્યા હોવાથી, ખેડૂતો સાથે સંકળાયેલા સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. વળી, અન્ય કેટલાક ખેડૂત સંગઠનોએ 25 સપ્ટેમ્બરનાં રોજ બંધની હાકલ કરી છે.
આપને જણાવી દઈએ કે, લોકસભામાં પસાર થયા પછી, ગત રવિવારે બે મુખ્ય કૃષિ બિલ રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિની મંજૂરીથી આ બિલો કાયદો બનશે. જો કે કોંગ્રેસ, ટીએમસી, આરજેડી, આમ આદમી પાર્ટી, સપા અને ડાબેરી પક્ષો સહિત ઘણા પક્ષો આ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. બુધવારે સંસદ ભવન સંકુલમાં વિપક્ષી પાર્ટીઓએ પણ સંયુક્તપણે કૃષિ બિલો સામે વિરોધ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.