આફ્રિકા ખંડના દેશ નાઈજિરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારી ગણપતિના વાહનથી પરેશાન છે. રાષ્ટ્રપતિ ૩ મહિના માટે બ્રિટનમાં સારવાર કરાવવા ગયા હતા. સારવાર બાદ તેઓ પરત ઓફિસે આવ્યાં ત્યારે ખબર પડી કે ઓફિસમાં નવાં શાસકો આવી ગયા છે., જેમણે ઓફિસનું ફર્નિચર, વાયરિંગ, અન્ય ચીજો વગેરેને પૂરતું નુકસાન કરી નાખ્યું હતું. ઓફિસમાં એટલા બધા બાકોરાં પડી ગયા હતા કે હવે તેઓ ઓફિસમાં બેસી શકે એમ નથી. માટે બુહારી હાલ ઘરેથી જ કામ કરી રહ્યાં છે.
૩ મહિના કરતાં વધુ સમય સુધી ઓફિસનો ઉપયોગ ન થયો એટલા માટે કદાચ ઉંદરડા ઘર કરી ગયા હશે. હવે બધા ઉંદરડાને હાંકી કાઢીને ઓફિસ રિનોવેટ કરવામાં આવશે.ત્યારબાદ રાષ્ટ્રપતિ ફરીથી ત્યાં બેસી કામ શરૃ કરશે. દરમિયાન તેઓ બાજુમાં જ આવેલા ઘરમાંથી કામ કરી રહ્યાં છે.
રાષ્ટ્રપતિની ગેરહાજરીને મુદ્દો બનાવીને નાઈજિરિયામાં વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે બુહારીને કેન્સર છે, પણ તેઓ આરોગ્યની માહિતી છૂપાવી રહ્યાં છે. બુહારી ક્યા રોગની સારવાર કરાવવા ગયા હતા એ તેમણે ખુલાસો કર્યો નથી. દરમિયાન વિપક્ષે એવી પણ ડિમાન્ડ કરી હતી કે હવે તેઓ દેશ ચલાવવા સક્ષમ નથી.