રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વહેલી સવારે કાગવડ ખાતે માતાના દર્શન કર્યા હતા. કાગવડ ખાતે 5 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જ્યાં વિવિધ સમાજના આગેવાન અને રાજકીય નેતાઓ ખોડલધામની મુલાકાત લઇને આશિર્વાદ લઇ રહ્યા છે. ત્યારે પુના ખાતે વિદ્યાર્થી સાંસદને સંબોધન ક્રયા બાદ સુરત ખાતે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે કાગવડ ખાતે ખોડલ માતાની દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
‘પાસ’ કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણીયાએ ગુરૂવારે જ કહી દીધું હતું કે, હાર્દિક ગુરુવારે કમલાપુર રોકાયા બાદ શુક્રવારે સવારે હાર્દિક ‘પાસ’ના આગેવાનો સાથે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે આરતી અને દર્શન કરવા જશે. કાગવડથી પાછા આવતા રાજકોટનાં સ્વર્ગસ્થ ઉમેશ પટેલના પરિવારની મુલાકાત કરશે. ત્યાર બાદ સુરેન્દ્રનગરના લખતર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી ધોરાજીના ‘પાસ’ના સંયોજક લલિત વસોયાને ત્યાં પ્રસંગમાં હાજરી આપશે. રાજ્યભરમાં આંદોલન છેડવામાં આવશે.
ખોડલધામમાં મા ખોડલના દર્શન કર્યા બાદ હાર્દિક રાજકોટ આવી પહોંચ્યો હતો. હાર્દિકે સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કર્યા બાદ સુરેન્દ્રનગરના લખતરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયો હતો.